આસારામ બાપૂનો બળાપો, 'બળાત્કાર માટે યુવતી પોતે જવાબદાર'
આસારામ બાપૂએ જણાવ્યું કે માત્ર 5-6 લોકો જ બળાત્કારના દોષિ નથી. બળાત્કારીઓની સાથે સાથે પીડિતા પણ દોષી છે. તેમણે જણાવ્યું કે જો યુવતીએ દોષિયોને ભાઇ કહીને તેમને આવું કૃત્ય ના કરવાનો અનુરોધ કર્યો હોત તો તેનો જીવ અને લાજ બન્ને બચી જતી.
મીડિયા અહેવાલ અનુસાર આસારામ બાપૂએ જણાવ્યું કે તેઓ આરોપીઓને કડક સજા કરવાની સામે છે, કેમકે આ કાનૂનનો દૂરઉપયોગ પણ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે આવી રીતે બનેલા કાનૂનનો હંમેશાથી દુરઉપયોગ થતો રહ્યો છે, દહેજ માટેનો કાનૂન તેનું ઉદાહરણ છે.
આસારામે વધુમાં જણાવ્યું કે મને પીડિતા સાથે અને તેના પરિવાર સાથે પણ સહાનૂભુતિ છે. તેમણે પીડિતાના પરિવારને મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તમારી દીકરી તો હવે જતી રહી છે. એ પાછી આવવાની નથી પરંતુ તેઓ મને પોતાનો દીકરો માની લે.
આસારામ બાપૂના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચોતરફથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેનકા ગાંધીએ જણાવ્યું કે માત્ર ભાઇ કહેવાથી જ પાપી બદલાઇ જતો તો દુનિયામાં ક્યારેય પાપ જ ના થતું.