આસામમાં નરસંહારનો બદલો લેવાયો : 2 બોડો ઉગ્રવાદીઓની હત્યા
ગુવાહાટી, 24 ડિસેમ્બર : આસામમાં ગઈ કાલે બોડો ઉગ્રવાદીઓએ કરેલી હત્યાઓનો આદિવાસીઓએ આજે બદલો લઇ લીધો છે. આજે આસામના આદિવાસીઓએ પોતાનું બળ સાબિત કરવા બોડો જાતિના બે ઉગ્રવાદીઓને મારી નાખ્યા છે. આ ઉપરાંત બોડો લોકોની વસ્તીવાળા એક ગામમાં આગ લગાડી છે. આ સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ લશ્કરને બોલાવી લેવામાં આવ્યું છે અને અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ અમલમાં છે.
આદિવાસીઓએ ચિરાંગ જિલ્લામાં બે બોડોને કુહાડીના ઘા ઝીંકીને મારી નાખ્યા છે. બોડો ઉગ્રવાદીઓએ ગઈ કાલે કોકરાજાર અને સોનીતપુર જિલ્લામાં બે જગ્યાએ કરેલા હુમલામાં બાળકો અને સ્ત્રીઓ સહિત 65 આદિવાસીઓની હત્યા કરી હતી.
આજે બોડો ઉગ્રવાદીઓના હુમલા વિરુદ્ધ દેખાવો કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે ગોળીબાર કરતા ત્રણ આદિવાસીના મરણ નિપજ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ પોલીસ ગોળીબારમાં ત્રણ આદિવાસીના મરણને સમર્થન આપ્યું છે.
આદિવાસીઓએ કોકરાજાર જિલ્લામાં બિશ્વનાથ ચૈરાલી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બોડો લોકોની વસ્તીવાળા એક ગામમાં આગ લગાડી હોવાનો અહેવાલ છે.