પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના: 50 કરોડ લોકો માટે રૂ. 5 લાખ સુધીની મફત સારવારની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ 'પ્રધાનમંત્રી જન આરોગ્ય' યોજનાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ 'પ્રધાનમંત્રી જન આરોગ્ય' યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની મદદથી 10 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો મળશે, જેની મદદથી તેઓ દેશભરમાં કોઈ પણ સરકારી હોસ્પિટલો અને સુચિબંદ્ધ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવી શકશે. 25 સપ્ટેમ્બરે પંડિત દીન દયાલ ઉપાધ્યાયના જન્મ જયંતિના દિવસે તેને દેશભરમાં અમલમાં મુકવામાં આવશે. આ આરોગ્ય વીમા યોજનાને મોદી કેર પણ કહેવામાં આવે છે. જેની મદદથી દેશના 10 કરોડગરીબ પરિવારોના લગભગ 50 કરોડ લોકોને સુરક્ષા કવર મળશે. આજે અમે તમને જણાવીએ કે આ યોજના હેઠળ કોણ અને કઈ રીતે યોજનાનો લાભ મેળવી શકે છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી 50 કરોડ લોકોને લાભ
10 કરોડ પરિવારોના 50 કરોડ લોકોને સરકારની આ યોજનાથી સ્વાસ્થ્ય કવર મળશે. દરેક પરિવારને 5 લાખ સુધીનો સુરક્ષા કવર કરવામાં આવશે. આમાં હોસ્પિટલમાં એડમિટ થતા પહેલાથી લઈને પછીનો ખર્ચ પણ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં હોસ્પિટલમાં લાવવા અને લઇ જવાનો ખર્ચ પણ જોડવામાં આવશે.
કોણે મળશે યોજનાનો લાભ
આ યોજનાથી દેશના ગરીબ પરિવારોને ફાયદો થશે. આમાં દેશના લગભગ 10.74 કરોડ ગરીબ અને વંચિત કુટુંબોને મફતમાં સ્વાસ્થ્ય વીમો મળશે. આ સામાજિક-આર્થિક જાતિ જનગણનાના ડેટા પર આધારિત હશે, આમાં ન પરિવારનું કદ આડે આવશે અને ન વય પર કોઈ મર્યાદા હશે. પરિવારના વૃદ્ધોથી લઈને નવજાત તમામને આવરી લેશે.
કેવી રીતે મળશે લાભ?
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વીમાધારક યોજનાના પેનલમાં શામેલ કોઈપણ હોસ્પિટલથી કેશલેસ સારવાર મેળવી શકે છે. ખાનગી હોસ્પિટલો ઑનલાઇન પેનલમાં રાખવામાં આવશે. વીમાધારક દેશમાં કોઈપણ હોસ્પિટલમાં જઈ શકે છે અને તેની સારવાર મેળવી શકે છે. આ કેશલેસ સારવાર માટે આઇટી ફ્રેમવર્ક વિકસાવવામાં આવશે.