ઉત્તરાખંડમાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદ, ચારધામની યાત્રા સ્થગિત, રામદેવ પણ ગંગોત્રીમાં ફસાયા
દહેરાદુન, 16 જુલાઇ: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના લીધે હેમકુંદ, બદ્રીનાથ, ગંગોત્રી અને કેદારનાથની યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. ભૂસ્ખલનના લીધે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. વહિવટીતંત્ર તરફથી બદ્રીનાથ-જોશીમઠ હાઇવેને સંપૂર્ણપણે અને ગંગોત્રી-ઉત્તરકાશી-ટિહરી માર્ગના ઘણા સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. બાબા રામદેવ પણ 400 સમર્થકોની સાથે ગંગોત્રીમાં ફસાયા છે. ત્યાં એક આશ્રમમાં રોકાયેલા છે.
આ ઉપરાંત ભારે વરસાદને જોતાં ચારધામ યાત્રા માર્ગ પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ઉત્તરાખંડના કેટલાક સ્થળો પર ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે, જેના લઇને રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ગત વર્ષે ભીષણ પ્રાકૃતિક આફતની માર સહન કરી ચૂકેલા ઉત્તરાખંડમાં હવામાન વિભાગની ચેતાવણીને ધ્યાનમાં રાખતાં વહિવટી તંત્ર સજાગ થઇ ગયું છે અને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષે ચારધામની યાત્રા દરમિયાન હજારો શ્રદ્ધાળુ પૂરની ચપેટમાં આવી મૃત્યું પામ્યા હતા. તેના લીધે વહિવટીતંત્રએ શ્રદ્ધાળુઓને હવામાની દશાઓને લઇને સજાગ રહેવા કહ્યું છે.
ઉત્તરાખંડ હવામાન વિભાગની આગાહી
ઉત્તરાખંડ હવામાન વિભાગના નિર્દેશક આનંદ શર્માએ જણાવ્યું હતું કે મોટાભાગના સ્થળો પર આગામી થોડા દિવસોમાં સામાન્યથી માંડીને મધ્યમ વરસાદ થશે, પરંતુ ઉત્તરાકાશી, ચમૌલી, પિથૌરગઢ, ચંપાવત, નૈનિતાલ અને ઉધમસિંહ નગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.
400 બાળકો સહિત રામદેવ ફસાયા
ભારે વરસાદના લીધે ઉત્તરાખંડનો ઉત્તરકાશી-ગંગોત્રી માર્ગ ઘણી જગ્યાએથી ધ્વસ્ત થઇ ગયો છે. રસ્તા બંધ થઇ જવાના લીધે યોગ ગુરૂ બાબા રામદેવ અને તેમની સાથે લગભગ 400 બાળકો સહીત હજારો લોકો રસ્તામાં ફસાઇ ગયા છે.
...તો કરવામાં આવશે કાનૂની કાર્યવાહી
ઉત્તરાખંડના ડીજીપીનું કહેવું છે કે તેમણે બાબા રામદેવને આગળ નહી જવાની ચેતાવણી આપી હતી, પરંતુ બાબા રામદેવ માન્યા ન હતા. ડીજીપીએ કહ્યું હતું કે જો બાળકોને કંઇપણ થશે તો બાબા રામદેવ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વરસાદના લીધે રસ્તા થયા ગાયબ
જાણકારી અનુસાર વરસાદના લીધે ઘણા સ્થળોથી રસ્તાના ભાગ ગાયબ થઇ ગયા છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને પોલીસનું કહેવું છે કે તેમણે આ તરફ બાબા રામદેવને આગળ ન વધવાની ચેતાવણી આપી હતી. પોલીસે કહ્યું હતું કે રોકવા જતાં તે આગળ જાય છે અને અકસ્માત સર્જાઇ છે તો તેના માટે બાબા રામદેવ પોતે જવાબદાર રહેશે અને તેમના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે.
અલકનંદામાં આવ્યું પૂર
બીજી તરફ જોશીમઠ સહિત ચમૌલીમાં પણ મંગળવારે રાત્રિથી સતત વરસાદ ચાલુ છે. વરસાદના લીધે અલકનંદામાં પૂર આવી ગયું છે. લામબગડ અને ટંગડીમાં કાટમાળ રસ્તા પર આવી જવાથી રસ્તા બંધ થઇ ગયા છે. રૂદ્રપ્રયાગ-કેદારનાથ માર્ગ પર રૂદ્રપ્રયાગથી સોનપ્રયાગ સુધી ભારે વરસાદના લીધે 10 સ્થળો પર માર્ગ ક્ષતિગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.