આતંકી હુમલામાં માતા-પિતાને ગુમાવરનાર મોશે પહોંચ્યો મુંબઇ
નરમિન હાઉસ પર થયંલ આતંકી હુમલામાં પોતાના માતા-પિતાને ગુમાવનાર મોશે આવ્યો મુંબઇ આતંકી હુમલા સમયે માત્ર 2 વર્ષનો હતો મોશે આ અંગે વધુ વાંચો અહીં...
વર્ષ 2008માં 26/11ના રોજ થયેલ આતંકી હુમલામાં પોતાના માતા-પિતા ગુમાવનાર ઇઝરાયલનો બાળક મોશે મંગળવારે મુંબઇ આવી પહોંચ્યો હતો. મુંબઇ પહોંચેલ મોશે ખૂબ ખુશ હતો, તેની સાથે આવેલ તેના દાદા રબ્બી હોલ્ત્જબર્ગે કહ્યું કે, આ ઘણો ખાસ દિવસ છે. સારુ થયું કે મોશે ફરીથી અહીં આવી શક્યો. પહેલાની સરખામણીએ હવે મુંબઇ ઘણું સુરક્ષિત છે. વર્ષ 2008માં થયેલ આતંકી હુમલા બાદ મોશે પહેલીવાર મુંબઇ આવ્યો છે. ગત વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે મોશેને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તે પોતાના બાકીના પરિવાર સાથે મુંબઇ પહોંચ્યો છે. વર્ષ 2008ના આતંકી હુમલા સમયે મોશે માત્ર બે વર્ષનો હતો.
મોશેની માતા રિવકા અને પિતા ગેવરૂલ મુંબઇમાં નરિમન હાઉસમાં રોકાયા હતા. આ જગ્યાને આતંકીઓએ નિશાન બનાવી હતી, આતંકી હુમલામાં મોશેના માતા-પિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે મોશેને તેની આયાએ બચાવી લીધો હતો. આયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને મોશે તેના માતા-પિતાના શબ પાસે બેઠેલો મળ્યો હતો, મેં એને ઉંચક્યો અને તરત ઇમારતમાંથી ભાગી નીકળી. એ દિવસે ગોળીઓનો ઘણો અવાજ આવી રહ્યો હતો. હું લોન્ડ્રી રૂમમાં છુપાઇ ગઇ હતી. મોશેનો અવાજ આવ્યો ત્યારે હું બહાર નીકળી. મેં જોયું કે, એના માતા-પિતા મૃત્યુ પામ્યા છે અને એ ત્યાં જ બેઠો છે. ઉલ્લેખનીય છે કે, નરીમન હાઉસ પર થયેલ હુમલામાં 6 ઇઝરાયલના નાગરિકોનું મૃત્યુ થયું હતું.