સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કર-એ-તોયબાના 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ. બે આતંકીઓ ઠાર, એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ.
રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા ખાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર છે. બાંદીપોરા સ્થિત હાજિન ખાતે આ અથડામણ થઇ હતી, જેમાં સિક્યોરિટી ફોર્સે બે આંતકીઓના ઠાર માર્યા હતા. આ બંને આતંકીઓ લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ એક ભારતીય પોલીસ કોન્સ્ટેબલ શહિદ થયા હોવાના પણ સમાચાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરક્ષાદળોને હાજિનના મીર મહોલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જે પછી સેનાએ તપાસ અભિયાન આરંભતા તે વિસ્તારની ઘેરાબંદી કરી હતી.
આતંકીઓને જ્યારે જાણ થઇ કે, તેઓ ચારે બાજુથી ઘેરાઇ ચૂક્યા છે, ત્યારે તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં લશ્કરનો એક આતંકી ઠાર મરાયો હતો. જો કે, આ વિસ્તારના લોકોએ સુરક્ષાદળોને રોકવા માટે પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં કાશ્મીરમાં સેના 'ઑપરેશન ઑલ આઉટ'માં કાર્યરત છે, જે હેઠળ તેઓ આતંકવાદીઓના સફાયામાં વ્યસ્ત છે. સુરક્ષાદળોએ કાશ્મીરમાં હાજર 258 આતંકીઓની સૂચિ તૈયાર કરી હતી. આ હેઠળ અનેક આતંકીઓ અથડામણમાં ઠાર મરાયા છે, મૃતકોમાં લશ્કર-એ-તોયબા, હિજબુલ મુજાહિદ્દીન અને અલ બદ્રના સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓ છે. આ સૂચિમાં સૌથી વધુ આતંકીઓ કુપવાડા અને સોપોરના છે, જેઓ પાકિસ્તાનના સહકાર હેઠળ કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.