પાકિસ્તાનમાં પણ ઉજવાય છે ભગત સિંહનો શહિદ દિવસ!
પાકિસ્તાનના યુવાઓ પણ ભગત સિંહને આદર્શ માને છે. પાક.માં ભગત સિંહના નામનું એક મેમોરિયલ ફાઉન્ડેશન છે. હાલમાં જ લાહોર હાઇ કોર્ટે આદેશ આપ્યો છે કે, ભગત સિંહનો શહિદ દિવસ ઉજવનારને સુરક્ષા આપવામાં આવે.
તમને સાંભળીને નવાઇ લાગશે કે, ભગત સિંહ માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન ના યુવાઓના પણ આદર્શ છે. આજે તેમનો 86મો શહીદ દિવસ છે અને આજે પણ પાક.ના યુવાઓ તેમને યાદ કરે છે, તેમના જેવા જ બનવાની ઇચ્છા ધરાવે છે. અન્ય ચોંકાવનારી વાત એ છે કે, ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ ને જે દિવસે ફાંસી આપવામાં આવી હતી એના 25 વર્ષ બાદ જ પાકિસ્તાનમાં ગણતંત્ર દિવસ લાગુ થયો હતો.
પાક.માં દર વર્ષે થાય છે કાર્યક્રમ
પાકિસ્તાનના લાહોરમાં ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન છે અને લાહોર હાઇ કોર્ટે આદેશ આપ્યો હતો કે, જે લોકો ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવનો 86મો જન્મદિવસ ઉજવવા માંગતા હોય તેમને સુરક્ષા આપવામાં આવે. દર વર્ષે 23 માર્ચના રોજ લાહોરના શહદમન ચોક પર શહીદ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થાય છે. આ એ જ જગ્યા છે, જ્યાં ભગત સિંહ અને તેમના સાથીદારોને ફાંસી આપવામાં આવી હતી.
ક્રાંતિકારી વિચારધારાને સીમાના છેવાડા નથી નડતા
ભગત સિંહની ક્રાંતિકારી વિચારધારાને ભારત કે પાકિસ્તાનની સીમાના છેડાઓ બાંધી નથી શક્યા. ગત વર્ષે તેમની પુણ્યતિથિના પ્રસંગે લાહોરના સાહીવાલના ફરીદ ટાઉનમાં એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓ, થિયેટર સાથે જોડાયેલા લોકો અને સાંસ્કૃતિક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આજે પણ અહીંની સૌથી વધુ ભાષા પંજાબી છે.
હેતુપૂર્વક ભગત સિંહની જાણકારીથી રાખ્યા દુર
આ કાર્યક્રમમાં એક યુવતીએ એ તરફ પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું કે, કઇ રીતે પંજાબી યુવકોને હેતુપૂર્વક ભગત સિંહની જાણકારીથી દૂર રાખવામાં આવ્યા છે. આ 24 વર્ષીય યુવતીએ કહ્યું કે, આ પહેલો પ્રસંગ છે જ્યારે મને ભગત સિંહ વિશે જાણવાની તક મળી છે. મને પસ્તાવો થાય છે કે, આ મહાન ક્રાંતિકારી વિશે મને આજ સુધી કંઇ ખબર નહોતી.
યુવાઓ આપે છે શહીદોને શ્રદ્ધાંજલિ
એક બાજુ એવા લોકો છે, જેમને ભગત સિંહ અંગે ખાસ કોઇ જાણકારી નથી, તો બીજી બાજુ યુવાઓનું એક આખું જૂથ એવું છે જે દર વર્ષે આ સ્થળે એકઠા થાય છે. વર્ષ 2015માં કેટલાક ધાર્મિક સંગઠનોએ આ યુવાઓને શહીદ દિવસની ઉજવણી ન કરવાની ધમકી આપી હતી, પરંતુ કોર્ટ તરફથી આ યુવાઓને સુરક્ષા આપવાનો આદેશ આપવામાં આવ્યો, જેથી તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકે.
ભગત સિંહ દેશના નાયક
ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ શહીદ થયાના 16 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા. આ બંન્ને દેશોમાં ભગત સિંહ આજે પણ કોઇને કોઇ રૂપમાં જીવીત છે. દર વર્ષે ભગત સિંહને દેશના નાયક ઘોષિત કરવાની માંગણી લોકો કરે છે. વર્ષ 2008માં એક પંજાબી સંસ્થા દ્વારા જારાનવાલામાં ભગત સિંહનો 100મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જરાનવાલા ભગત સિંહના વતન બંગા જિલ્લામાં આવ્યું છે. જો કે, એ સમયે માત્ર 100 જેટલા લોકો જ ભેગા થયા હતા.
ચોકનું નામ ભગત સિંહ ચોક કરવાની માંગણી
ઘણા વર્ષોથી લાહોરના શહદમન ચોકનું નામ બદલીને ભગત સિંહ ચોક રાખવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. દરેક વખતે આ માંગણીને અવગણવામાં આવે છે. આના વિરોધમાં અનેક પ્રદર્શનો થયા છે. લોકોનું કહેવું છે કે, તેમને વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ તેમની માંગણીને હંમેશા અવગણવામાં આવે છે.
વર્ષ 2012માં જાગી નવી આશા, પરંતુ..
વર્ષ 2012માં લાહોરની સરકારે ઘોષણા કરી હતી કે, શહદમન ચોકનું નામ બદલીને ભગત સિંહ ચોક કરવામાં આવશે. આ અંગે સરકાર હજુ આગળ કંઇ કરે એ પહેલાં જ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા(જેયૂડી) તરફથી વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં એક બેનર લગાવવામાં આવ્યું હતું, જેની પર લખ્યું હતું કે, નામ બદલવાનો અર્થ છે બે દેશોના સિદ્ધાંતો સાથે દગો કરવો. જેયૂડી તરફથી આ ચોકનું નામ હુરમત-એ-રસૂલ ચોક કરવાની માંગ કરવામાં આવી હતી.
ભગત સિંહ મેળો
પાકિસ્તાનમાં ભગત સિંહને વ્યાજબી સ્થાન આપવાની માંગ વધતી જાય છે, દરેક વખતે આ માંગણી નકારવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિવિલ સોસાયટી તરફથી ભગત સિંહના શહીદ દિને તેમના વતન બંગામાં ભગત સિંહ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમના ઘરને ફરીથી રિનોવેટ કરવામાં આવી રહ્યું છે અને તેમના ગામનું સ્વરૂપ બદલવાની પણ માંગ કરવામાં આવી રહી છે. જે બંગા ગામે ભગત સિંહનો ત્યાગ કર્યો હતો, એ જ ગામે ફરી એકવાર ભગત સિંહને અપનાવી લીધા છે.
ઝીણાએ પણ કરી હતી ભગત સિંહની વકીલાત
ભગત સિંહને પાકિસ્તાનમાં નાયકનું સ્થાન મળશે કે નહીં, એ તો સમય કહેશે. પરંતુ પાકિસ્તાન અને ભગત સિંહને જોડતી એક ઐતિહાસિક ઘટના છે. પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ વર્ષ 1929માં આઝાદીના આ લડવૈયાનો બચાવ કર્યો હતો.