એનકાઉંટર પર ઉઠેલા સવાલોથી ભડક્યુ ભાજપ, કોણે શું કહ્યુ...
વેંકૈયા નાયડુએ કહ્યું કે કેટલાક લોકો કરી રહ્યા છે નિમ્નસ્તરની રાજનીતિ. એનકાઉંટર પર ઉઠેલા સવાલોથી પોતાને બચાવી રહ્યુ છે ભાજપ...
મધ્યપ્રદેશમાં થયેલા સિમી આતંકવાદી એનકાઉંટર પર વિરોધી નેતાઓ ખાસ કરીને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના સવાલોથી ભડકેલા ભાજપે તેનું એનકાઉંટર કરવા માટે વરિષ્ઠ નેતાઓને ઉભા કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ અને રવિશંકર પ્રસાદે એનકાઉંટરને નકલી ગણાવનારાની નિંદા કરી છે.
વેંકૈયા નાયડૂએ કહ્યું કે વિરોધ કરનારા લોકો સિમી આતંકવાદીઓ વિશે ચિંતા કરી રહ્યા છે પરંતુ તેમને ભારતીયોની ચિંતા નથી. આ આખા મામલાને સાંપ્રદાયિક રુપ આપવાને નિમ્ન સ્તરની રાજનીતિ જણાવી હતી.
વેંકૈયા નાયડૂએ શું કહ્યુ
કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ એનકાઉંટર પર સવાલ ઉઠાવતા નેતાઓની નિંદા કરતા કહ્યુ કે કેટલાક લોકો સિમી આતંકવાદીઓની ચિંતા કરી રહ્યા છે અને તેના ધર્મની વાત કરી રહ્યા છે પરંતુ તે એ નથી કહેતા કે તે આતંકવાદીઓએ કયા કયા ગુના કર્યા હતા. વેંકૈયા નાયડૂએ કહ્યુ, 'કેટલાક લોકો કાયદા તોડનારા કેદીઓની ચિંતા કરી રહ્યા છે. તેમને ભારતીય નાગરિકોની સુરક્ષાની ચિંતા નથી.'
એનકાઉંટરને સાંપ્રદાયિક રંગ આપવાની ટીકા
વેંકૈયા નાયડૂએ એનકાઉંટર મામલાને સાંપ્રદાયિક રંગ આપવા પર વિરોધ દર્શાવતા કહ્યુ કે ચાર દિવસ પહેલા આંધ્રપ્રદેશ અને ઓડિશાની સીમા પર 28-29 માઓવાદી માર્યા ગયા. તેમના ધર્મ પર કોઇએ વાત ના કરી પરંતુ એમપીમાં થયેલા એનકાઉંટર મામલે લોકો કહી રહ્યા છે કે આતંકવાદીઓ કયા ધર્મના હતા? તેમણે આને નિમ્ન સ્તરની રાજનીતિ ગણાવી હતી. કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે કહ્યુ હતુ કે જેલ તોડીને મુસ્લિમ જ કેમ ભાગે છે, હિંદુ કેમ નથી ભાગતા?
રવિશંકર પ્રસાદે આપ્યા વિરોધીઓને જવાબ
મધ્યપ્રદેશમાં થયેલા એનકાઉંટર પર સૌથી પહેલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આના પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પૂછ્યુ કે શું દિગ્વિજય સિંહ પાર્ટી લાઇન પ્રમાણે બોલી રહ્યા છે?
રવિશંકર પ્રસાદે કહ્યું કે બાટલા હાઉસ એનકાઉંટર બાદ પણ દિગ્વિજય સિંહના નિવેદન પર સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે તે પાર્ટી લાઇન અનુસાર નહોતુ. શું એમપી એનકાઉંટર મામલે પણ આવુ જ છે? કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની સુરક્ષા મામલે બધાએ એક સૂરમાં બોલવુ જોઇએ. કેન્દ્રીય રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે આપણે હવે દેશની પોલિસ અને પ્રશાસનના કામો પર શંકા કે સવાલ કરવાનું બંધ કરવુ જોઇએ. જે પણ તથ્ય હશે તે સામે આવશે.
બચાવ કરવામાં લાગ્યા મુખ્યમંત્રી શિવરાજ સિંહ
એનકાઉંટર પર મધ્યપ્રદેશ સરકાર અને પોલિસ સવાલોના ઘેરામાં છે. એનકાઉંટરના એવા એવા વીડિયો વાઇરલ થઇ રહ્યા છે કે જેનાથી સરકાર અને પોલિસની સ્ટોરી પર આંગળી ચીંધાઇ રહી છે. પોતાની સરકારના બચાવમાં લાગેલા શિવરાજ સિંહ ચૌહાણ આ મુદ્દા પર સતત નિવેદન આપી રહ્યા છે.
મંગળવારે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જેલ તોડવાની ઘટનામાં શહીદ થયેલા કોંસ્ટેબલ રમાશંકર યાદવના નિવાસસ્થાન પર જઇને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે કેટલાક નેતાઓ શહીદ જવાનના બલિદાનને પણ જોતા નથી.
તેમણે કહ્યું, 'દુખ થાય છે જ્યારે આપણા દેશના કેટલાક નેતાઓને રમાશંકરનું બલિદાન પણ દેખાતુ નથી. તે લોકો મત બેંકની રાજનીતિ કરી રહ્યા છે અને આવા લોકોની હું ઘોર નિંદ કરુ છુ. આવુ ન કરવુ જોઇએ.' મધ્યપ્રદેશ સ્થાપનાદિન પર બોલતા ફરીથી સીએમ શિવરાજે કહ્યું કે કેટલાક લોકો રમાશંકર યાદવના બલિદાન પર સવાલ ઉઠાવીને તેમનું અપમાન કરી રહ્યા છે. હું રમાશંકર યાદવને સલામ કરુ છુ.
એનકાઉંટર પર દેશમાં રાજનીતિક બબાલ
મધ્યપ્રદેશ પોલિસે સોમવારની સવારે ભોપાલ સેંટ્રલ જેલમાંથી ભાગેલા 8 સિમી આતંકવાદીઓને એનકાઉંટરમાં ઠાર માર્યા હતા. આના પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત ઘણા નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે અને એનકાઉંટરને નકલી ગણાવતા આની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ એનકાઉંટરને સાંપ્રદાયિક રંગ આપતા કહ્યું કે જેલ તોડીને મુસ્લિમ જ કેમ ભાગે છે, હિંદુ કેમ નથી ભાગતા? દિગ્વિજય સિંહ સાથે આપ નેતા અરવિંદ કેજરીવાલ, સીપીએમ નેતા પ્રકાશ કરાત સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ એનકાઉંટર પર ભાજપને ઘેરવામાં લાગેલા છે.