કેન્દ્રિય મંત્રીએ કહ્યું, પુણે હિંસા માટે મેવાણી જવાબદાર નથી
કેન્દ્રિય મંત્રીએ પુણે હિંસા મામલે કર્યો જિજ્ઞેશ મેવાણીનો બચાવ જિજ્ઞેસ પર ભડકાઉ ભાષણ આપવાનો છે આરોપ 1 જાન્યુ.ના રોજ પુણેના ભીમા-કોરેગાંવમાં ભડકી ઊઠી હતી હિંસા
પુણેના ભીમા-કોરેગાંવમાં ભડકી ઉઠેલી હિંસા બાદ ગુજરાતની દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ફરિયાદ નોંધાઇ હતી, તેમની ઉપર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. પરંતુ કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ જિજ્ઞેશ મેવાણીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ધારાસભ્યનો હિંસા ભડકાવવામાં કોઇ હાથ નથી, 1 જાન્યુઆરીના રોજ ભીમા-કોરેગાંવમાં ભડકી ઉઠેલી હિંસા માટે તેઓ જવાબદાર નથી. મુંબઇમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભીમા-કોરેગાંવની 200મી વરસીના કાર્યક્રમ પહેલામાં પણ તણાવવાળી પરિસ્થિતિ હતી.
'જિજ્ઞેશે પુણેમાં ભાષણ કર્યું હતું'
ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીના રોજ દલિતો જ્યારે ભીમા-કોરેગાંવ વોર મેમોરિયલ પહોંચ્યા ત્યારે હિંસા ભડકી ઊઠી હતી. દલિત નેતાઓએ આરોપ મુક્યો હતો કે, કેટલાક હિંદુત્વવાદી નેતાઓએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને અમારી પર હુમલો કર્યો. આ કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણી પણ હાજર હતા અને તેમની પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. એવામાં કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ તેમનો બચાવ કરતા કહ્યું કે, અહીં 1 જાન્યુઆરી પહેલા પણ તાણવાળું વાતાવરણ હતું. મેં વિસ્તારની મુલાકાત લીધી હતી, જે પછી પરિસ્થિતિ થોડી સુધરી હતી. એ પછી 31 ડિસેમ્બરના રોજ હું ફરી દિલ્હી આવી ગયો હતો. આ જ દિવસે જિજ્ઞેશે પુણેમાં ભાષણ કર્યું હતું. તે ભીમા-કોરેગાંવ નહોતા ગયા. કેટલાક જૂથોએ 1 જાન્યુઆરીના રોજ ભીમા-કોરેગાંવમાં બેઠક કરી હતી, જે પછી હિંસા ભડકી હતી.
'જિજ્ઞેશે સમુદાયોને એકજૂટ કરવા જોઇએ'
તેમણે આગળ કહ્યું કે, મેં જિજ્ઞેશ મેવાણીને તેમની જીત બાદ અભિનંદન પાઠવ્યા હતા. એ સારી વાત છે કે, દલિત ચહેરાઓ સામે આવી રહ્યાં છે. મારું એમને એક જ સૂચન છે કે તેમણે સમુદાયોને એકજૂટ કરવા માટે કામ કરવું જોઇએ, ભાગલા પાડવા માટે નહીં. ઉલ્લેખનીય છે કે, જિજ્ઞેશ મેવાણી સતત માંગણી કરી રહ્યાં છે કે, 1 જાન્યુઆરીના રોજ ભડકી ઉઠેલી હિંસા મામલે પીએમ મોદી પોતાનું મૌન તોડે. આ અંગે અઠાવલેએ કહ્યું કે, જરૂરી નથી કે દરેક મુદ્દે પીએમ પોતાનું નિવેદન આપે. તેમણે આગળ કહ્યું કે, આ હિંસા માટે જે જવાબદાર છે, એની સામે કડક પગલાં લેતા તેને સજા કરવામાં આવશે. 13 જાન્યુઆરીના રોજ સૌહાદ્ર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.