બિહાર બોટ દુર્ઘટનાઃ 24 લોકોની મોત, મૃતકોના પરિવારને વળતરની જાહેરાત
સીએમ નીતીશ કુમારે ગંગાના દાયરામાં યોજાનારા તમામ કાર્યક્રમો રદ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ આ ઘટનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
બિહારની રાજધાની પટનામાં શનિવારે સાંજે ગંગા નદીના એનઆઇટી ઘાટ પાસે પર્યટકોથી ભરેલી એક હોડી પાણીમાં ડૂબી જતાં ઓછામાં ઓછા 24 લોકોની મોત થઇ છે, 12 લોકો હજુ પણ ગુમ છે, જેમની લોકોની શોધખોળ ચાલી રહી છે. મકર સક્રાંતિ નિમિત્તે યોજવામાં આવેલા પતંગ ઉત્સવ જોઇને પર્યટકો પરત ફરી રહ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી.
મુખ્યમંત્રી નીતીશ કુમારે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને તપાસના આદેશ આપ્યા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર દર વર્ષે પર્યટન વિભાગ દ્વારા મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ગંગાના સબલપુર વિસ્તારમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પતંગ ઉત્સવ જોઇને પાછા ફરી રહેલા એક જૂથની હોડી ગંગા નદીમાં બેસી ગઇ હતી. મૃતકોમાંથી કેટલાક ઝારખંડ અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે.
મકર સંક્રાંતિની પતંગબાજી ભારે પડી
મકર સંક્રાંતિ નિમિત્તે આયોજિત થયેલા આ પતંગ ઉત્સવમાં ભાગ લેવા લોકો ભારે સંખ્યામાં નદીની પેલે પાર ગયા હતા. સાંજ થતાં લોકોમાં પરત ફરવા માટે જાણે હોડ લાગી. લોકોને એનઆઇટી ઘાટ પાછા ફરવાની જલ્દી હતી, એવામાં એક નાનકડી હોડી એનઆઇટી ઘાટ તરફ જઇ રહી હતી. આ ઘટના નજરોનજર જોનારાઓનું કહેવું હતું કે, હોડી નાની હતી અને આમ છતાં તેની પર મોટી સંખ્યામાં લોકો સવાર થયા હતા.
ક્ષમતાથી વધુ લોકો સવાર હતા
હોડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થતા ઓવરલોડ થઇ ગયો હતો. એક અનુમાન અનુસાર 20 લોકોને બેસવાની ક્ષમતા ધરાવતી હોડીમાં લગભગ 70 લોકો ચઢી ગયા હતા. પરિણામે પર્યટકોથી ખચાખચ ભરેલી આ હોડી લગભગ 10 મીટર આગળ વધ્યા બાદ ગંગા નદીમાં ડૂબી ગઇ હતી.
25 લોકોને બહાર કાઢવામાં આવ્યા
હોડી પહેલાં થોડી અસ્થિર થઇ, ડગમગ થઇ અને અચાનક જ પાણીમાં બેસી ગઇ. આ ઘટના જોઇ પર્યટન વિભાગનું સ્ટીમર ત્યાં પહોંચ્યુ હતું અને તરત જ લાઇફ જેકેટ પાણીમાં નાંખવામાં આવ્યા હતા. લાઇફ જેકેટના આધારે લગભગ 25 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘણા લોકો તરીને બહાર નીકળવામાં સફળ થયા હતા.
24 લોકોનું મૃત્યુ
આ ઘટનામા 24 લોકો મૃત્યુ પામ્યા હોવાની ખબરની પુષ્ટિ કરવામાં આવી છે. 20 લોકો ગંભીર રૂપે ઘાયલ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કે 12 વ્યક્તિઓના કોઇ ખબર મળ્યા નથી. તેમની શોધખોળ ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ને કામે લગાડવામાં આવ્યા છે.
મદદ કરવાની જગ્યાએ દૂર ઊભા તમાશો જોયો
નદીના પાણીમાં માત્ર પર્યટકો નહીં, પરંતુ વ્યવસ્થા ડૂબી ગઇ. ઘટનાસ્થળો બચાવની પૂરતી તૈયારીઓ કરવામાં નહોતી આવી. એક બાજુ જ્યાં માણસો ડૂબી રહ્યા હતા ત્યાં બીજી બાજુ વોટર વેજ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કેટલીક સ્ટીમરો માત્ર ઊભા ઊભા તમોશો જોતી હતી. એમાંથી કોઇ મદદે ન આવ્યું.
મૃતકોના પરિવારને વળતરની ઘોષણા
મુખ્યમંત્રી નીતીશ કુમારે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગંગાના દાયરામાં યોજાનારા તમામ કાર્યક્રમોને હાલ રદ કરવાનો આદેશ આપ્યો છે તથા આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરવામાં આવી છે.
પીએમ મોદીએ પણ કરી વળતર આપવાની ઘોષણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ હેઠળ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થનારને 50 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે.