બિહારમાં મહાગઠબંધનની જીત, નિમ્નકક્ષાના નિવેદનો રહેશે હંમેશા યાદ
કુલ 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઇ ગયા છે. મહાગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. અને નિતીશ કુમાર ફરી એકવખત પાંચ વર્ષ માટે બિહાર વિધાનસભાની સત્તાની ખુરશી પર બિરાજમાન થવા જઇ રહ્યાં છે. મહાગઠબંધનમાં સૌના આશ્ચર્યની વચ્ચે લાલુ પ્રસાદ યાદવના પક્ષે પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જ્યારે ભાજપને વિરોધ પક્ષમાં બેસીને જ સંતોષ માનવો પડશે.
વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ બિહારમાં પણ સંતોષનજક પ્રદર્શન નથી કરી શકી, પરંતુ હા ભાજપની હારથી મનોમન ખુશ થવાની તક કોંગ્રેસને મળી ગઇ છે.
ચૂંટણી સંપન્ન થઇ ગઇ, પરંતુ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહથી લઇને નિતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ જેવા લોકોએ ચૂંટણીસભાઓમાં લોકોને આકર્ષિત કરવા માટે કેવા કેવા વાકપ્રહારો કર્યા છે. તે ફરી એકવખત યાદ કરી લેવા જઇએ.
ખેર, યાદ શું કરવાના તમામ નેતાઓએ એકબીજા પર એટલી હદે શબ્દોનો કાદવ ઉછાળ્યો છેકે તે લાંબા સમય સુધી યાદ રહેશે. આજે જ્યારે પરિણામો આવી જ રહ્યાં છે, ત્યારે આવો અમે તમને જણાવીએ કે આ તમામ નેતાઓએ એકબીજા માટે કેવો વાણીવિલાસ કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું.....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતા લાલુ પ્રસાદ યાદવ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે લાલુ પ્રસાદ યાદવે લોકસભા ચૂંટણીમાં પુત્રીને સેટ કરી, તો હવે વિધાનસભા ચૂંટણીમાં પુત્રોને ગોઠવી રહ્યાં છે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું.....
ત્યારે RJD સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને કાળા નાગ સાથે સરખાવ્યા હતા.
અમિત શાહે કહ્યું...
એક ચૂંટણીસભાને સંબોધીત કરતા અમિત શાહે કહ્યું હતુ કે જો બિહારમાં ભાજપની હાર થશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂંટશે. અમિત શાહના આ નિવેદનનો ઘણો વિરોધ થયો હતો.
અમીત શાહ ફરી બોલ્યા...
એક ચૂંટણીસભાને સંબોધિત કરતા અમિત શાહે લાલુ પ્રસાદ યાદવને ચારા ચોર કહ્યાં હતા. આ અંગે તેમના પર ફરિયાદ પણ થઇ હતી.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું....
ત્યારે RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે તેનો જવાબ આપતા ગુજરાત રમખાણોનો સંદર્ભ ટાંકીને અમિત શાહને નરભક્ષી કહ્યાં હતા, ત્યારબાદ તેમના પર આ નિવેદનને લઇને ફરિયાદ થઇ હતી.
ઓવૈસીએ કહ્યું...
બિહારમાં એક ચૂંટણીસભામાં અકબરૂદ્દી ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદીને ગુજરાત રમખાણોના સંદર્ભમાં "લોહી તરસ્યા" અને "શેતાન" કહ્યાં હતા. મહત્વપૂર્ણ છેકે અકબરૂદ્દીન ઓવૈસી AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ભાઇ છે.
પપ્પુ યાદવે કહ્યું....
તો પપ્પુ યાદવે જેમને સમાજમાં ભગવાનનું બિરૂદ આપાવામાં આવ્યું છે ,તેવા શિક્ષકોને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતુ. આ પહેલા પણ તેમણે વિવાદીત નિવેદન આપ્યું હતુ. જેને લઇને તેમની ઘણી ટીકા થઇ હતી.