ત્રિપુરામાં ભાજપે ગઠબંધન સાથે મેળવ્યો બહુમત, બનાવશે સરકાર
ભાજપે ત્રિપુરામાં પહેલી વાર લેફ્ટને હરાવીને મોટી જીત મેળવી છે. ભાજપની ગઢબંધનવાળી સરકાર ત્રિપુરામાં પોતાની સરકાર રચશે. ત્યારે અમિત શાહે આ પ્રસંગે શું કહ્યું જાણો અહીં.
પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ત્રિપુરામાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે મેધાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં ત્રિપુરામાં ભાજપ ગઠબંધન સાથે 42 સીટો પર આગળ છે. અને લેફ્ટ 17 સીટો પર. નોંધનીય છે કે આ ચૂંટણી 59 બેઠકો માટે થઇ રહી છે. અને ત્રિપુરામાં ભાજપે બહુમત બનાવી સરકાર રચી શકે તેટલી બેઠકો મેળવી લીધી છે. આમ આવનારા સમયમાં ત્રણ પૂર્વોત્તર રાજ્યો મેધાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાંથી ત્રિપુરામાં ભાજપની નવી સરકાર લાંબા સમય પછી બનશે તે વાત નક્કી છે. જો કે મેધાલયમાં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે. તો નાગાલેન્ડમાં પણ ભાજપે બપોરે 12 વાગ્યા સુધીમાં 10 બેઠકો પર પોતાની જગ્યા બનાવી છે. 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અહીંથી ખાલી એક જ સીટ મળી હતી. જે જોતા ભાજપ માટે ચોક્કસથી આ સારા સમાચાર છે.
નોંધનીય છે કે ત્રિપુરાની આ જીતથી અહીં લાંબા સમયથી સત્તારૂઢ થયેલી સીપીઆઇએમ સરકારને લોકોએ જાકારો આપ્યો છે. વધુમાં કોંગ્રેસ સવારથી અહીં એક પણ બેઠક પર બપોરે 12 વાગ્યા સુધીમાં જીત નથી મેળવી શકી જેણે પણ એક મોટો અપસેટ સર્જ્યો છે. આમ જોવા જઇએ તો ત્રિપુરાની ચૂંટણી ભાજપ માટે અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થઇ છે. વળી મેધાલય અને નાગાલેન્ડમાં પણ ભાજપે પહેલાની વિધાનસભાના પરિણામો કરતા સારું પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દશેરામાં અવસર પર અમિત શાહે કહ્યું હતું કે જો ત્રિપુરામાં ભાજપની જીત થઇ તો તે તેમના આરઆરએસના નેતાઓ અને ગુરુઓને આ જીત ગુરદક્ષિણા રૂપ આપશે. નોંધનીય છે કે પહેલી વાર ભાજપ લેફ્ટને તેના જ રાજ્યોમાં હરાવવામાં સફળ રહી છે. જે ખૂબ જ મોટી વાત કહેવાય.