BJPની કાર્યકારિણી બેઠક: PM મોદીએ કરી સૌભાગ્ય યોજનાની શરૂઆત
સોમવારે ભાજપી પ્રથમ કાર્યકારિણી બેઠકમાં નાણા મંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે, સાંજે 6.30 વાગ્યે પીએમ મોટા યોજનાની શરૂઆત કરશે. ત્યાર બાદ સોમવારે સાંજે 6.30 વાગે પીએમ દ્વારા સૌભાગ્ય યોજના બહાર પાડ
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના પહેલા દિવસે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક અંગે વાત કરતાં કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સામજે 6.30 વાગે ગરીબો માટેની મોટી યોજનાની જાહેરાત કરશે. સાથે જ તેમણે જણાવ્યું કે, પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ દ્વારા ખૂબ તીખા શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે. સત્તા ભોગ માટે નહીં, સેવા માટે છે.
સૌભાગ્ય યોજના
સોમવારે 6.30 વાગ્યે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દીનદયાળ ઊર્જા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ પીએમ મોદીના હસ્તે સહજ ઘર વીજળી યોજના એટલે કે સૌભાગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબોને મફત વીજળીની સુવિધા મળશે, જેનો ફાયદો દેશના લગભગ બેથી અઢી કરોડ લોકોને મળશે. 31 માર્ચ, 2019 સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની યોજના છે.
ભાજપ કાર્યકારિણી બેઠક
નોંધનીય છે કે, ભાજપની આ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી થનાર હતી. આ બેઠકમાં તમામ સાંસદો, ધારાસભ્યો, અને પાર્ષદો સાથે પ્રદેશ પ્રમુખો સહિત 2000 નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી સમારોહના સમાપન પ્રસંગે આયોજિત કરવામાં આવેલ આ બેઠકમાં 281 લોકસભા સભ્યો, 57 રાજ્યસભાના સભ્યો, 1400 ધારાસભ્યો સહિત પ્રદેશ પ્રમુખો તથા કોર ગ્રૂપના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં રોહિંગ્યા મુસલમાનો, નોટબંધીના પરિણામ, જીએસટી વગેરે સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેરળમાં ભાજપની પદયાત્રા
આ બેઠક અંગે જાણકારી આપતાં રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગરીબોના હિત અને કલ્યાણકારી કામોમાં રોકાયેલી છે. ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી મુકાયો, જ્યારે કોંગ્રેસના રાજમાં ભારે ભ્રષ્ટાચાર હતો. તેમણે આગળ કહ્યું હતું કે, કેરળની હિંસાત્મક ઘટનાઓથી ભાજપના કાર્યકર્તા ડરવાના નથી. 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન ભાજપ કેરળમાં પદયાત્રા કરશે. અમે ભ્રષ્ટાચાર, ગંદકી અને જાતિવાદમુક્ત ભારતનો સંકલ્પ લીધો છે.
આતંકવાદ સામેની નીતિ
નિતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે પણ પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવા માંગીએ છીએ, માટે જ પીએમ પ્રોટોકૉલ છોડી પાકિસ્તાનના પીએમ શરીફને મળવા ગયા હતા. ડોકલામના મુદ્દાને ઉકેલવામાં પીએમ મોદીએ રાજનૈતિક પરિપક્વતા અને કૂટનીતિનો પરિચય આપ્યો હતો. અમે જમ્મુ-કાશ્મીરમાં પણ વિકાસનો મુદ્દો ઉંચક્યો અને આતંકવાદ અંગેની અમારી નીતિ સ્પષ્ટ કરી હતી.