પટના, 14 મે : બિહાર ભાજપના નેતા ગિરિરાજ સિંહે બુધવારે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે પૂછ્યું છે કે શા માટે બધા જ આતંકવાદીઓ એક જ કોમના હોય છે? આ નિવેદન બાદ ફરી માહોલ ગરમાયો છે.
બિહારના પૂર્વ મંત્રી ગિરિરાજ સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મારો ઇરાદો સંપ્રદાય વિશેષના તમામ લોકોને કઠેડામાં ઉભા કરવાનો નથી. પરંતુ જેટલા આતંકવાદીઓ પકડાય છે, તે બધા એક જ સંપ્રદાયમાંથી આવે છે. આમ છતાં ધર્મનિરપેક્ષ નેતાઓ ચૂપ છે. ફારુક અબ્દુલ્લા ભાજપને વોટ આપનારાઓને દરિયામાં ડૂબાડી દેવાની વાત કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દે વાત કરનારાને પાકિસ્તાન જવાનું કહેવામા આવે છે. શા માટે?
ગિરિરાજે આ પહેલા આપેલા પોતાના ઉશ્કેરણીજનક નિવેદન અંગે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે હું ચૂંટણી પંચ અને કાયદાનું સન્માન કરું છું. જો મારા ભાષણની ક્લિપિંગ જોવામાં આવે તો મેં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.
મેં તે દિવસે કહ્યું હતું કે પાકિસ્તાન નરેન્દ્ર મોદીની રાહમાં અવરોધ ઉભા કરી રહ્યું છે. અહીં પણ એવી બહારની તાકાતો છે જે નરેન્દ્ર મોદીને સત્તામાં આવતા રોકવા માંગે છે. પાકિસ્તાન જ આતંકવાદીઓનું મક્કા મદીના છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સામે પોલીસે ત્રણ એફઆઇઆર નોંધી હતી.