લખનઉ, 4 માર્ચઃ ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીના પોતાના પ્રચાર અભિયાન હેઠળ સૌથી વધુ મહત્વ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ‘મોદી આને વાલા હે' અભિયાન શરૂ કરી રહી છે. આ નવા અભિયાન હેઠળ પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો રથ ગામેગામ જઇને મોદીના નામના ગુણગાન ગાશે. મોદીના સમર્થકો તેમના આગમનની લહેરને સુનામીનું રૂપ આપવામાં લાગેલા છે. પાર્ટીના રણનીતિકાર ઉત્તર પ્રદેશમાં મોદીની એક પછી એક નવ રેલીઓ આયોજીત કર્યા બાદ હવે તેમના વિચારો, ઘોષણાઓ અને વચનોને ગામેગામ પહોંચાડવાની તૈયારીમાં છે.
નવા અભિયાન હેઠળ મોદીના ગુણગાન કરતા રથ 99 ટકા વિધાનસભા ક્ષેત્રોમાં જઇને મોદીના વિચારોને ગીત, ફિલ્મો અને ભાષણોના માધ્યમથી લોકો સુધી ફેલાવશે. પાર્ટી દ્વારા આ અભિયાનને નામ આપવામાં આવ્યું છે, ‘મોદી આને વાલા હે'. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગામેગામ પ્રચાર માટે 400 રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક એક રથ મોકલવામાં આવશે.
આવા કુલ 400 રથ 403 વિધાનસભા ક્ષેત્રમાં જશે. આ રથો પર સ્વયં મોદી એલઇડી ટેલીવિઝન પર જોવા મળશે, ઉપરાંત હોર્ડિંગ, ઝંડા અને પેમ્પલેટની તસવીરોમાં મોદી વિરાજમાન હશે. એલઇડી ટેલીવિઝનના માધ્યમથી મોદી પોતાના વિચારો, ભાષણો, વક્તવ્યો અને સૂત્રોથી લોકોને ભાજપના પક્ષમાં મતદાન કરવા પ્રેરિત કરશે અને આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ, સપા અને બસપાનો સફાયો કરવા આહવાન કરશે.
રથ 12 હજાર ગામોમાં જશે
ભાજપના પ્રદેશ પ્રભારી અમિત શાહે જણાવ્યું કે રથ 12 હજાર ગામોનું ભ્રમણ કરશે. રથની સાથે પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહનો ઓડિયો અને વીડિયો કેસેટ પ્રસારિત કરવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યું કે, ભાજપે આખા પ્રદેશમાં 1,40,000 મતદાન બૂથોની પસંદગી કરી છે.
પાર્ટી માટે અનુકૂળ નહીં રહેલા વિસ્તારોની પસંદગી
આ બૂથ એવા છે જે કોઇ પણ પાર્ટી અનુકૂળ નહીં રહેલા અને આજે પણ સૌથી પછાત વિસ્તારો છે. આવા બુથ મોટાભાગે બુંદેલખંડ અને પૂર્વાચલના છે. અભિયાન હેઠળ એવા વિસ્તારોની વિશેષ પસંદગી કરવામાં આવી છે, જ્યાં રસ્તા અને વિજળીની સ્થિતિ ઘણી જ ખરાબ છે. પાર્ટીએ આ પડકારને ક્રિટિકલ નામ આપ્યું છે, અર્થાત જે કામ ભાજપ માટે કપરું છે.
આવા વિસ્તારોમાં પાર્ટીની જીત નિશ્ચિત કરવા માટે મંથન
આવા ક્ષેત્રોમાં પાર્ટીની જીત કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે, એ માટે પાર્ટીના નેતાઓ મંથન કરી રહ્યાં છે. વિધાનસભા ક્ષેત્રોનું ભ્રમણ કરનારા રથો પર સારથી ઉપરાંત એક ઓપરેટર અને એક પાર્ટી વિસ્તારક હશે. રથ જે વિધાનસભા ક્ષેત્રમાં જશે, ત્યાં પાર્ટીનો એક કાર્યકર્તા બે મીનિટમાં જનસમૂહ સમક્ષ પાર્ટીના વિચાર અને દ્રષ્ટિકોણ રજૂ કરશે.
નરેન્દ્ર મોદી જનતા સાથે થશે રૂબરૂ
ત્યાર બાદ એલઇડી ટેલીવિઝનથી નરેન્દ્ર મોદી જનતા સાથે રૂબરૂ થશે. નોંધનીય છે કે, ભાજપનો આ રથ અત્યાધુનિક સુવિધાઓથી ભરેલો હશે. રથમાં વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ લાગેલી હશે, જેના માધ્યમતી કયો રથ કયા વિધાનસભા ક્ષેત્રના કયા ગામમાં ઉભો છે, ચાલી રહો છે, રોકાયેલો છે, તેની પળેપળની જાણકારી પ્રાપ્ત કરી શકાશે. રથ અંગે તમામ સંબંધિત જાણકારી ગુગલ મેપ થકી રનિંગ ડિવાયસ પર દેખાતી રહેશે.