‘2019 માં દૂર-દૂર સુધી કોઈ ચેલેન્જ દેખાતી નથી': અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આવતી ચૂંટણી માટે ખૂબ જ ગંભીર છે અને તેમણે કહ્યુ કે પાર્ટી પીએમ મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી 2019 માં વધુ સારુ પ્રદર્શન કરશે.
લોકસભા ચૂંટણી 2019 અંગે ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પીએમ મોદી પણ હાલમાં ઘણી રેલીઓ દ્વારા કોંગ્રેસ અને વિપક્ષી દળો પર હુમલા કરતા જોવા મળી રહ્યા છે. વળી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આવતી ચૂંટણી માટે ખૂબ જ ગંભીર છે અને તેમણે કહ્યુ કે પાર્ટી પીએમ મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી 2019 માં વધુ સારુ પ્રદર્શન કરશે. અમિત શાહે આ દરમિયાન ઘણા મુદ્દાઓ પર વાત કરી અને કહ્યુ કે પાર્ટી વિપક્ષને 2019 ની ચૂંટણીમાં કોઈ મોકો નહિ આપે.
‘રાજકીય ફાયદા માટે ધ્રવીકરણ ભાજપનો એજન્ડા નથી'
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આગામી લોકસભા ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. અમિત શાહે કહ્યુ કે રાજકીય ફાયદાઓ માટે ધ્રુવીકરણ ભાજપનો એજન્ડા નથી. તેમણે કહ્યુ કે સમાજમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળવાની કોશિશ ભાજપ નહિ કરે. શાહે કહ્યુ, ‘ઘણા બધા રાજ્યોના પ્રવાસ બાદ કહી શકુ છુ કે ભાજપ પહેલાથી પણ વધુ મજબૂત થઈ છે અને પાર્ટીના સમર્થનમાં જબરદસ્ત માહોલ છે. દૂર-દૂર સુધી કોઈ ચેલેન્જ જોવા મળી નથી રહી. ભાજપના 11 કરોડ સભ્ય થઈ ચૂક્યા છે અને આ સંખ્યા હજુ વધશે.'
મહાગઠબંધનના સવાલ પર વિપક્ષ પર કર્યો હુમલો
વિપક્ષના મહાગઠબંધનના આઈડિયા અંગે શાહે કહ્યુ કે ભાજપ સામે બધા પક્ષોનું મહાગઠબંધન? એ કયા રાજ્યમાં ભાજપને પડકાર આપશે. બધા રાજ્યોના મતદારોએ આ પક્ષોને નકારી દીધા છે. કેટલાક ભગવા દળોના ધ્રુવીકરણની કોશિશના સવાલ પર શાહે કહ્યુ કે કોઈ ભાજપના નેતા આવી ઘટનાઓમાં શામેલ નથી. એ મીડિયા છે જે આ પ્રકારની વાતો કરી રહ્યુ છે. જો મીડિયા આને બહુ હવા ના આપે તો કોઈ ધ્રુવીકરણ નહિ થાય. અમારી પાસે આટલા સકારાત્મક મુદ્દા છે તો અમે ધ્રુવીકરણની કોશિશ કેમ કરીશુ?
સરકારની યોજનાઓનો કર્યો ઉલ્લેખ
શાહે મોદી સરકારની ઘણી યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે ભાજપે પોતાની કલ્યાણકારી યોજનાઓ સાથે 19 રાજ્યોમાં 22 કરોડ લોકોનું જીવન બદલવાનું કામ કર્યુ છે. અમે 7.5 કરોડ ઘરો માટે શૌચાલય બનાવ્યા છે, 19,000 ગામોને વીજળી ઉપલબ્ધ કરાવી છે, 12 કરોડ લોકો મુદ્રા યોજનાના લાભાર્થી છે, 18 કરોડ બાળકોની રસીકરણમ કરવામાં આવ્યુ છે. 19 કરોડ લોકોને આરોગ્ય વીમા સાથે જોડવામાં આવ્યા છે. રસ્તાઓનું કામ થયુ છે, રેલ વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યુ. આ બધુ અમારા માટે 2019 માં બતાવવા માટે પર્યાપ્ત છે.
જમ્મુ-લદ્દાખ મામલે પણ બોલ્યા અમિત શાહ
અમિત શાહે કાશ્મીરના મુદ્દે કહ્યુ કે પાર્ટીએ ધાર્મિક આધાર પર મામલો હેન્ડલ કર્યો નથી. તેમણે કહ્યુ કે જે ભૂલો પહેલા થઈ છે તેને સુધારવાની કોશિશ કરવામાં આવી રહી છે. સરકારોને તે વિસ્તારોમાં વિકાસ કાર્યો કરવાની જરૂર છે જે પછાત છે. આ કારણે લદ્દાખ અને જમ્મુના પછાત વિસ્તારોને સરકાર મહત્વ આપી રહી છે.
શિવસેના અંગે નરમ વલણ
અમિત શાહે એનડીએના સહયોગીઓ સાથે અણબનાવના સમાચારો પર કહ્યુ કે જ્યાં સુધી શિવસેનાનો સવાલ છે તે અત્યારે પણ સરકારમાં છે. તેમને ક્યાં સુધી અમારી સાથે રહેવુ છે તેના વિશે શું વિચારવાનુ છે. તેમણે શિવસેના અંગે નરમ વલણ બતાવ્યુ અને તેની ટીકા કરવાનું ટાળતા જોવા મળ્યા. જો કે તેમણે બીજી નવા ગઠબંધનની સંભાવનાઓ તરફ પણ ઈશારો કર્યો અને કહ્યુ કે ગઠબંધનમાં પક્ષોનું આવવુ અને જવુ ચાલતુ રહે છે. શરદ પવારના પક્ષ સાથે ગઠબંધનના સંભાવના પર તેમણે કહ્યુ કે ગઠબંધન અત્યારે શિવસેના સાથે છે.