12 એપ્રિલ, નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2014ના ચાર તબક્કા પૂરા થઇ ગયા છે ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુએ લખેલા પુસ્તકે કોંગ્રેસમાં ભૂકંપ સર્જી દીધો છે. સંજય બારુએ 11 એપ્રિલ, 2014એ વિમોચિત કરેલા પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મીનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ'માં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે સત્તાનું કેન્દ્ર સોનિયા ગાંધી પાસે હતું. મનમોહન સિંહ તો માત્ર ચિઠ્ઠીના ચાકર હતા.
સતત 10 વર્ષ સુધી સત્તા સંભાળનારા વર્તમાન વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુએ લખેલા પુસ્તકમાં ઘટસ્ફોટ મનમોહન સિંહને ટાંકીને કહેવાયું છે કે "બે સત્તા કેન્દ્રોવાળી પદ્ધતિ ચાલી શકતી નથી આથી તેમણી(PM)એ સ્વીકારી લીધું કે સત્તાનું કેન્દ્ર પાર્ટી પ્રમુખ (સોનિયા ગાંધી) પાસે છે."
મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ અંગે સંજય બારૂના પુસ્તકમાં કરવામાં આવેલા આ ખુલાસઓનું ખાસ મહત્વ એટલા માટે છે કે, યુપીએ-1 દરમિયાન બારૂ મનમોહનના મીડિયા સલાહકાર રહ્યા હતા અને તેમણે સત્તાનું સંચાલન ઘણી નજીકથી નિહાળ્યુ હતુ.
બારૂના પુસ્તકથી ઉભી થયેલી ચર્ચા એટલા માટે વિવાદ પકડશે કે ભાજપે ગયા સપ્તાહે જ જાહેરમાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ પીએમઓ પર નારાજ છે. હવે સ્પષ્ટ થાય છે કે બજારમાં આવી રહેલા આ પુસ્તકમાં વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચેની તાકાતના વિભાજનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
પુસ્તકમાં એ બાબતની ચર્ચા છે કે યુપીએ-1 દરમિયાન કઇ રીતે એ.કે.એન્ટની અને અર્જુનસિંહ મનમોહન સિંહના કામકાજનો વિરોધ કરતા હતા. એન્ટની આંતરિક બેઠકોમાં મનમોહન વિરોધ કરતા અને અર્જુનસિંહ જાહેરમાં આવું કરતા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે મિત્ર તરીકે એનસીપીના શરદ પવાર મનમોહનના બચાવમાં આગળ આવતા હતા.
આ પુસ્તકમાં ઉલ્લેખ છે કે મનમોહને કઇ રીતે ખુદને એવી પરિસ્થિતિને હવાલે કરી દીધી કે જયાં સોનિયા ગાંધી જ એક સત્તાનું એક માત્ર કેન્દ્ર હતા.
પુસ્તકમાં એ બાબતનો પણ સંકેત છે કે 2009માં કોંગ્રેસના વિજયના સવાલ પર મનમોહન અને કોંગ્રેસ પક્ષ વચ્ચે કેટલીક બાબતોએ મતભેદો હતા. 2008ની આર્થિક કટોકટીમાંથી દેશના અર્થતંત્રને જે રીતે મનમોહને બહાર કાઢયો તેનાથી મતદારો ખુશ હતા અને મતદારોએ ફરીથી કોંગ્રેસને સત્તા આપી પરંતુ સોનિયાની નજીકના લોકોએ મનમોહનને આનો વધુ શ્રેય ન મળે તે માટે પ્રયાસો કર્યા હતા.
પુસ્તકમાં મનમોહન અને પક્ષના વરિષ્ઠ સભ્યો વચ્ચે આર્થિક નીતિઓ બાબતે કઇ રીતે ટકરાવ થતો હતો તેનો પણ ઉલ્લેખ છે. પરમાણું સમજુતીના મામલામાં પણ એન્ટની અને અર્જુન વિરૂધ્ધમાં હતા.
આ પુસ્તકમાં પીએમ અને સોનિયાના નેતૃત્વવાળી કોંગ્રેસના સંબંધો પર જે બાબતો દર્શાવવામાં આવી છે તેનાથી વિવાદ થવાના એંધાણ છે. ભાજપને યુપીએ અને સોનિયા પર પ્રહાર કરવાની તક મળશે. આના બહાને ભાજપ મનમોહનને નબળા વડાપ્રધાન અને સત્તાની કમાન 10 જનપથના હાથોમાં હોવાના પોતાના રાજકીય આરોપોને નવેસરથી ચગાવે તેવી શકયતા છે.
પુસ્તકમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે મનમોહનસિંહે તેમના બીજા કાર્યકાળમાં કોંગ્રેસ પ્રમુખ અને યૂપીએના બાકી ઘટકદળોની આગળ ઘૂંટણ ટેકવા પડ્યા હતા. એટલી હદે કે બીજી વારની સરકારમાં કેબિનેટની પસંદગીમાં પણ પીએમનું કશું જ નહોતું ચાલ્યું, કેબિનેટના તમામ પ્રધાનોની પસંદગી પણ સોનિયા ગાંધીની ઈચ્છા પ્રમાણે થઈ હતી.
આ પુસ્તક બહાર આવતા જ કોંગ્રેસમાં આંતરિક ખળભળાટ શરૂ થયો ચે. જોકે કોંગ્રેસ કાર્યાલય અને પીએમઓ ઓફિસે પુસ્તકના દાવાઓને ખોટા ગણાવ્યા છે. પીએમઓએ પુસ્તકમાં લખાયેલી માહિતીને કાલ્પનિક અને મસાલો ભરભરાવી રજૂ કરાઈ હોવાનું જણાવ્યું છે.