BSF જવાન તેજ બહાદુરનો નવો વીડિયો, મોદી પાસે માંગ્યો ન્યાય
બીએસએફ જવાન તેજ બહાદુર યાદવનો નવો વીડિયો સામે આવ્યો છે. તેણે વીડિયોમાં કહ્યું છે કે, તેની વિરુદ્ધ રચાઇ રહ્યું છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાય માંગ્યો છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના કોન્સટેબલ તેજ બહાદુર યાદવ નો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેજ બહાદુરે નવા આરોપો લગાવ્યા છે. આ વખતે તેણે કહ્યું કે, તેની વિરુદ્ધ ષડયંત્ર રચાઇ રહ્યું છે. તેજ બહાદુર એ જ જવાન છે, જેણે જવાનોને આપવામાં આવતા ખરાબ ખોરાક અંગે ફરિયાદ કરતો વીડિયો પોતાના ફેસબૂક પેજ પર શેર કર્યો હતો.
આ વખતે શું છે વીડિયોમાં?
તેજ બહાદુરે કહ્યું કે, ભ્રષ્ટાચાર લોકો સામે લાવવાના પરિણામે હવે તેની તપાસ થઇ રહી છે. તેણે પોતાનો વીડિયોમાં કહ્યું છે, 'મેં મારા વિભાગમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર પરથી પડદો ખસેડ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છતા હતા કે ભ્રષ્ટાચાર સામે લડવામાં આવે. હું લોકોને અપીલ કરું છું કેતેઓ પીએમ મોદીને પૂછે કે મને કેમ હેરાન કરવામાં આવી રહ્યો છે.' કહેવાઇ રહ્યું છે કે આ વીડિયો તેમના પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેજ બહાદુરે લોકોને કહ્યું છે કે, તેઓ એમના વિશે ફેલાવવામાં આવેલી અફવાઓ પર ધ્યાન ન આપે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ખબર આવી હતી કે, તેજ બહાદુર પાકિસ્તાનના તેમના સમકક્ષોના રાજકારણનો શિકાર થઇ ગયાં છે. તેજ બહાદુરના ફેસબૂક પેજની પણ તપાસ થઇ હતી, જેમાં સામે આવ્યું હતું કે, ફેસબૂક તેમના પાકિસ્તાની મિત્રો ઘણા છે. તેમનો પહેલો વીડિયો 9.9 મિલિયન લોકોએ આ વીડિયો જોયો હતો.
જમ્મુના ગેસ્ટ હાઉસમાં બનાવાયો વીડિયો
આ વીડિયો જમ્મુના ગેસ્ટ હાઉસમાં શૂટ કરવામાં આવ્યો છે, જ્યાં તેજ બહાદુરની મુલાકાત તેમની પત્ની સાથે થઇ હતી. આ મુલાકાત દિલ્હી હાઇ કોર્ટના આદેશ બાદ ફેબ્રુઆરીમાં થઇ હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારી અનુસાર, આ વીડિયો એ મુલાકાત દરમિયાન જ શૂટ કરવામાં આવ્યો છે. તેજ બહાદુરનો ફોન લઇ લેવામાં આવ્યો હતો, પરંતુ બની શકે કે તેમની પત્નીએ તેમને નવો ફોન આપ્યો હોય. જો આ વીડિયો એ જ ફોનથી શૂટ કરવામાં આવ્યો હોય તો એ અનુશાસનહીનતા છે.
અહીં વાંચો - કેરળઃ RSS કાર્યાલય પર ફેંકાયો બોમ્બ, 3 કાર્યકર્તા ઘાયલ
એવું પણ કહેવાઇ રહ્યું છે કે, આ વીડિયો પાછળ કોઇ પ્રોફેશનલનો હાથ હોય, કારણ કે વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને તેમાં કેપ્શન પણ છે. આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. તેમનો પહેલો વીડિયો આવ્યા બાદ બીએસએફ તરફથી યાદવ વિરુદ્ધ કોર્ટ ઓફ ઇનક્વાયરી શરૂ થઇ ગઇ છે. સાથે જ યાદવની વૉલેન્ટ્રી રિટાયરમેન્ટની અપીલ પણ બરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ ટ્રૂપને જે ખાવાનું આપવામાં આવી રહ્યું છે, તેની પણ ઇન્ટરનલ ઇનક્વાયરી થઇ, જેમાં સામે આવ્યું છે કે તેજ બહાદુરે કરેલી ફરિયાદ સંપૂર્ણ રીતે ખોટી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસના કાર્યાલયને તથા ગૃહ મંત્રાલયને પણ જાણકારી આપવામાં આવી છે.