આ હિન્દુ-મુસ્લિમના વિવાદમાં મારા પિતાનો જીવ ચાલ્યો ગયોઃ સુબોધ કુમારનો દીકરો
આ હિન્દુ-મુસ્લિમના વિવાદમાં મારા પિતાનો જીવ ચાલ્યો ગયો
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગૌ હત્યાના સમાચાર બાદ ભડકેલી હિંસામાં યૂપી પોલીસના ઈન્સપેક્ટર સુબોધ કુમાર સિંહનો જીવ ચાલ્યો ગયો. નજરે જોનારાઓનું કહેવું છે કે બબાલ દરમિયાન ભીડે ઈન્સપેક્ટર સુબોધને ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે બે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં 27 લોકો વિરુદ્ધ નામ સહિત અને 60 અજાણ્યા લોકો સામે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. મેરઠ જોનના એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે આ મામલાની તપાસ થશે કે પોલીસકર્મીઓએ ઈન્સ્પેક્ટ્ર સુબોધને એકલા કેમ છોડ્યા. આ વચ્ચે હિંસામાં જીવ ગુમાવનાર ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના દીકરા અભિષેકે સામે આવીને મોટું નિવેદન આપ્યું છે.
કાલે કોના પિતાનો જીવ જશે
પોતાના પિતા ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના મોત પર એમના દીકરા અભિષેકે કહ્યું, મારા પિતા મને એક એવો સારો નાગરિક બનાવવા માગતા હતા, જે સમાજમાં ધર્મના નામ પર હિંસાને પ્રોત્સાહન ન આપતો હોય. આજે આ હિંદુ-મુસ્લિમની બબાલે મારા પિતાનો જીવ લઈ લીધો, કાલે કોના પિતાનો જીવ જશે? જણાવી દઈએ કે સોમવારે બુલંદશહેરના સ્યાના વિસ્તારમાં ગૌ હત્યાના અહેવાલ મળ્યા બાદ હિંદુ સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુસ્સામાં ભીડે રસ્તા પર જામ લગાવતા ગાડીઓમાં તોડફોડ કરી અને પોલીસ પર પણ હુમલો કર્યો. ભીડના હુમલામાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહનો જીવ ચાલ્યો ગયો. આ મામલામાં એસઆઈટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તપાસ થશે, ઈન્સ્પેક્ટર સુબોધને એકલા કેમ છોડ્યા
ઉલ્લેખનીય છે કે ભીજની હિંસાનો શિકાર થયેલ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ 2015માં દાદરીમાં મોબ લિંચિંગમાં મૃત્યુ પામનાર અખલાક મામલામાં પણ તપાસ અધિકારી હતા. મેરઠ જોનના એડીજી પ્રશાંત કુમારે મીડિયા સામે કહ્યું કે વાતની તપાસ થશે કે પોલીસકર્મીઓએ ઈન્સ્પેક્ટર સુબોધને ભીડની વચ્ચે એકલા કેમ છોડી દીધા. જ્યારે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે મામલાની એસઆઈટી તપાસના આદેશ આપતા ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના પરિજનો માટે 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતાનું એલાન કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે દુઃખ વ્યક્ત કરતા બે દિવસ સુધી તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.
300-500ની ભીડ
ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમનું મૃત્યુ ગોળી લાગવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે ઘટના સ્થળે હાજર ઈન્સપેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે ઉગ્ર ભીડે રસ્તો રોકી દીધો હતો અને તે લોકો પોલીસની ટીમ પર પથ્થરમારો કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓની સંખ્યા 300-500ની વચ્ચે જણાવવામાં આવી રહી છે. આ હુમલામાં ઈન્સ્પેક્ટર સુરેશ કુમારને પણ ઈજા પહોંચી છે. આ મામલે બે FIR નોંધવામાં આવી છે, પહેલી- ગેરકાયદેસર ગૌ-હત્યાને લઈ અને બીજી હિંસક પ્રદર્શનને લઈ. આ મામલે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી લેવામાં આવ છે.