'અખલાક કેસની તપાસ કરી રહ્યા હતા એ કારણે મારા ભાઈનો જીવ ગયો, આ પોલીસનું જ ષડયંત્ર'
'અખલાક કેસની તપાસ કરી રહ્યા હતા એ કારણે મારા ભાઈનો જીવ ગયો'
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ગૌ હત્યાના અહેવાલ બાદ ભડકેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહનો જીવ ચલ્યો ગયો. હિંસાની આ ઘટનામાં પોલીસે બે FIR નોંધી છે, જેમાં 27 લોકોના નામ સહિત અને 60 અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક ઈન્સપેક્ટર સુબોધ કુમાર સિંહની બહેનનું કંઈક અલગ જ કહેવું છે. એમણે પોતાના ભાઈ અને ઉત્તર પ્રદેશ પોલીસના ઈન્સપેક્ટરના મૃત્યુને ષડયંત્ર ગણાવ્યું.
સુબોધ કુમાર સિંહની બહેનનો રડી-રડીને ખરાબ હાલ થઈ ગયો છે. એમણે કહ્યું કે ઈન્સપેક્ટર સુબોધ અખલાક કેસની તપાસ કરી રહ્યા હતા અને આ માટે જ એમનો જીવ ગયો છે. આ પોલીસનું ષડયંત્ર છે. મારા ભાઈને શહીદનો દરજ્જો આપવો જોઈએ અને એમની યાદમાં સ્મારક બનાવવું જોઈએ. અમારે પૈસા નથી જોઈતા. એમણે કહ્યું કે સીએમ યોગી માત્ર ગાયોની વાત કરે છે.
અગાઉ પોતાના પિતા ઈન્સપેક્ટર સુબોધ કુમાર સિંહના મૃત્યુ પર એમના દીકરા અભિષેકે કહ્યું હતું કે, 'મારા પિતા મને એવો નાગરિક બનાવવા માંગતા હતા, જે સમાજમાં ધર્મના નામ પર હિંસાને પ્રોત્સાહન ન આપતો હોય. આજે આ હિંદુ-મુસ્લિમની બબાલમાં મારા પિતાનો જીવ ચાલ્યો ગયો છે, કાલે કોના પિતાનો જીવ જશે?'
આ પણ વાંચો- આ હિન્દુ-મુસ્લિમના વિવાદમાં મારા પિતાનો જીવ ચાલ્યો ગયોઃ સુબોધ કુમારનો દીકરો