બુરાડીઃ પિતા ઉપરાંત બીજી 4 આત્માઓના ટચમાં હતો લલિત
શરૂઆતથી જ આ સામૂહિક મોતના સૂત્રધાર જણાઈ રહેલ લલિત અંગે હજુ એક મોટો ખુલાસો થયો છે.
દેશની રાજધાની દિલ્હીને હચમચાવી દેનાર બુરાડી કેસમાં રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઘરની અંદર એક જ પરિવારના 11 લોકોની લાશો મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. વળી, પોલિસ પણ અંધવિશ્વાસની ગુત્થિઓમાં ઉલઝાયેલા આ કેસને જોઈને હેરાન છે. શરૂઆતથી જ આ સામૂહિક મોતના સૂત્રધાર જણાઈ રહેલ લલિત અંગે હજુ એક મોટો ખુલાસો થયો છે. ભાટિયા પરિવારના ઘરેથી મળેલા એક રજિસ્ટરમાંથી માલુમ પડ્યુ છે કે લલિતે પાંચ આત્માઓની મુક્તિ માટે 'મોતની સાધના'નું આ આખુ પ્રકરણ રચ્યુ.
5 આત્માઓની મુક્તિ માટે થઈ સાધના!
ભાટિયા પરિવારના ઘરેથી પોલિસને સતત નવા અને ચોંકાવનારા સુરાગ મળી રહ્યા છે. ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમના સૂત્રોએ જણાવ્યુ કે ઘરમાંથી મળેલી એક રજિસ્ટરમાં પાંચ આત્માઓનો ઉલ્લેખ છે. આ રજિસ્ટરના આધારે પોલિસને જાણવા મળ્યુ કે લલિત પોતાના પિતા ઉપરાંત અન્ય આત્માઓના પણ સંપર્કમાં હતો. લલિતે પિતાની આત્માના નિર્દેશ પર જ તેમની સાથે સાથે બીજી ચાર આત્માઓની મુક્તિ માટે શનિવારની રાતે ઘરમાં તે ‘સાધના' કરી, જેમાં પરિવારના 11 લોકોએ જીવ ગુમાવ્યા.
‘જેમ હું ભટકી રહ્યો છું, આ પણ ભટકી રહ્યા છે'
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘરમાંથી મળેલા એક રજિસ્ટરમાં 9 જુલાઈ 2015 ના રોજ લખેલી એક નોટ મળી છે. આમાં લખ્યુ છે, "તમે પોતાના સુધારની ઝડપ વધારી દો. આભાર માનુ છુ કે તમે ભટકી જાવ છો અને પછી એકબીજાની વાત માનીને એક જ છત નીચે મેલમિલાપ કરી લો છો. પાંચ આત્માઓ મારી સાથે ભટકી રહી છે, જો તમે સુધાર કરશો તો તેમને પણ મુક્તિ મળશે. તમે વિચારતા હશો કે હરદ્વાર જઈને બધુ કરી આવીએ તો તેમને પણ મુક્તિ મળી જશે... જેમ હું આના માટે ભટકી રહ્યો છુ એવી રીતે સજ્જન સિંહ, હીરા, દયાનંદ અને ગંગા દેવી મારા સહયોગી બનેલા છે."
કોણ છે આ ચારે લોકો?
રજિસ્ટરમાં આગળ લખ્યુ છે, "આ બધા લોકો પણ ઈચ્છે છે કે તમે બધા યોગ્ય કર્મો કરીને પોતાનું જીવન સફળ બનાવો. જો આપણા નિયમિત કામ પૂરા થઈ જશે તો અમે અમારા ઘરે પાછા જતા રહીશુ." ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે એ વાતની તપાસ કરવામાં લાગેલી છે કે રજિસ્ટરમાં જે ચારે નામો સજ્જન સિંહ, હીરા, દયાનંદ અને ગંગા દેવીનો ઉલ્લેખ છે, તે કોણ છે અને તેમને આ કેસ સાથે શું લેવાદેવા છે. પોલિસની એક ટીમ ભાટિયા પરિવારના ઘરેથી મળેલા બધા રજિસ્ટરોનું સતત અધ્યયન કરી રહી છે. પોલિસનું માનવુ છે કે જેમ જેમ રજિસ્ટર ખુલશે તેમ તેમ આ કેસમાં બીજા કેટલાક ચોંકાવનારા રાઝ પણ ખુલશે.