કેજરીવાલની જાહેરાતને લોલીપોપ કહેનારા સિદ્ધુએ પંજાબમાં 8 સિલિન્ડર મફત આપવાનો વાયદો કર્યો!
પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ કોંગ્રેસે વિદ્યાર્થી વર્ગને લગતી એક આકર્ષક જાહેરાત કરી છે.
ચંદીગઢ : પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ કોંગ્રેસે વિદ્યાર્થી વર્ગને લગતી એક આકર્ષક જાહેરાત કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આજે કહ્યું કે, જો તેમની સરકાર બનશે તો 5મું, 10મું અને 12મું ધોરણ પાસ કરતી વિદ્યાર્થીનીઓને હજારો રૂપિયા આપવામાં આવશે. આ સાથે કોમ્પ્યુટર-ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવશે.
સિદ્ધુએ વચન આપ્યું કે, કોંગ્રેસ પાર્ટી પંજાબમાં ધોરણ 5માં પાસ થનારી વિદ્યાર્થિનીઓને 5000 રૂપિયા અને 10મા ધોરણમાં પાસ થનારી વિદ્યાર્થિનીઓને 15,000 રૂપિયા આપશે. આ પછી સિદ્ધુએ 12મા ધોરણમાં પાસ થનારી દરેક વિદ્યાર્થીનીને 20,000 રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ કરવામાં મદદ કરવા માટે અમે તેમને કોમ્પ્યુટર-ટેબ્લેટ પણ આપીશું.
ભદૌરમાં નવજોત સિદ્ધુએ મહિલાઓના હિતમાં આ જાહેરાતો કરી હતી. સિદ્ધુએ કહ્યું કે જો રાજ્યમાં અમારી સરકાર બનશે તો દરેક ગૃહિણીને દર મહિને 2000 રૂપિયા મળશે. આ સિવાય તેમને એક વર્ષમાં 8 ગેસ સિલિન્ડર મફતમાં મળશે. તેમને એક મહિનાના દરેક ત્રિમાસિક ગાળા પછી મફત ગેસ સિલિન્ડર મળશે. તેમણે મહિલાઓની રજિસ્ટ્રી ફ્રી કરવાની વાત પણ કરી હતી. કહ્યું કે મહિલાઓના નામે પ્રોપર્ટીની રજિસ્ટ્રી સંપૂર્ણપણે ફ્રી હશે.
નવજોત સિદ્ધુએ તાજેતરમાં અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે, તમારા વચનો અહીં કામ નહીં કરે. પંજાબની મહિલાઓને ભિખારી ન સમજો, જેને તમે એક-એક હજાર રૂપિયા આપશો. સિદ્ધુએ એમ પણ કહ્યું હતું કે, કેજરીવાલ પૈસા પૈસા કરી રહ્યા છે, આ પૈસા ક્યાંથી લાવશે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબમાં સરકાર બનવા પર દરેક મહિલાને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ત્યારે સિદ્ધુએ તેને લોલીપોપ કહ્યું હતું. તેમણે કેજરીવાલની જાહેરાતને ભીખ ગણાવી હતી અને કહ્યું હતું કે AAP જૂઠું બોલી રહી છે, પરંતુ હું આ વચન ચોક્કસપણે પૂરું કરીશ. હવે સિદ્ધુએ એમ પણ કહ્યું કે, પંજાબમાં માફિયાઓના ખિસ્સામાંથી કાઢીને આ વચન પૂરું કરીશું.