મોટો સર્વેઃ પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી કોને થશે વધુ નુકશાન, સપા-બસપા કે ભાજપ?
સવાલ એ છે કે શું પ્રિયંકા ગાંધીની યુપીમાં સક્રિય રીતે એન્ટ્રીથી સપા-બસપાના મહાગઠબંધન કે પછી ભાજપ પર અસર પડશે અને પડશે તો કેટલુ?
2019ની લોકસભા ચૂંટણી અંગે પૂર્વી યુપીના મહાસચિવ તરીકે નિયુક્ત થયેલા પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઘણુ જોશ જોવા મળી રહ્યુ છે. બુધવારે જ્યારે પ્રિયંકા ગાંધીએ દિલ્લી સ્થિત પાર્ટી ઓફિસ પહોંચીને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તો યુપીના રાજકારણનો પારો પણ ગરમાઈ ગયો. રાજકીય ગલીઓમાં ચર્ચા છેડાઈ ગઈ કે શું પ્રિયંકા ગાંધી યુપીમાં કોંગ્રેસને ફરીથી ઉભી કરી શકશે? સવાલ એ પણ છે કે શું પ્રિયંકા ગાંધીની યુપીમાં સક્રિય રીતે એન્ટ્રીથી સપા-બસપાના મહાગઠબંધન કે પછી ભાજપ પર અસર પડશે અને પડશે તો કેટલુ? આ સવાલો અંગે એક મોટો સર્વે સામે આવ્યો છે. સર્વેના પરિણામો ચોંકવનારા છે.
સર્વેના પરિણામો ચોંકાવનારા
‘ઈન્ડિયા ટુડે પોલિટિકલ સ્ટૉક એક્સેન્જ' હેઠળ 2019ની લોકસભા ચૂંટણી માટે કરાયેલા સર્વેમાં શામેલ 57 ટકા લોકોનું માનવુ છે કે સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી યુપીમાં કોંગ્રેસના પુનરુદ્ધારમાં કોઈ મદદ નહિ મળે. સર્વેમાં સામે આવ્યુ કે માત્ર 27 ટકા લોકો વિચારે છે કે પ્રિયંકા ગાંધીના આવવાથી યુપીમાં કોંગ્રેસનો ચૂંટણી સ્ટાર ચમકશે. સર્વેમાં શામેલ લોકોને જ્યારે પૂછવામાં આવ્યુ કે પ્રિયંકાના આવવાથી યુપીમાં કઈ પાર્ટીને સૌથી વધુ નુકશાન થશે તો 56 ટકા લોકોનું કહેવુ હતુ કે સપા-બસપાના ગઠબંધન પર પ્રિયંકાની એન્ટ્રી ભારે પડશે. આ 56 ટકા લોકોમાં તે 27 ટકા લોકો પણ શામેલ હતા જેમણે આ માન્યુ કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી કોંગ્રેસને યુપીમાં સંજીવની આપશે. સર્વેમાં 31 ટકા લોકોનું કહેવુ છે કે પ્રિયંકા યુપીમાં ભાજપને સૌથી વધુ નુકશાન પહોંચાડશે.
રામ મંદિર પર ભાજપ પ્રત્યે શું છે લોકોનું મંતવ્ય
સર્વેમાં શામેલ લોકોનું માનવુ છે કે જો કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો એક લોકપ્રિય ચહેરો છે પરંતુ તેમની પાસે રાજકીય અનુભવ નથી. લોકોનું કહેવુ છે કે હજુ સુધી તેમણે માત્ર પોતાની મા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી માટે ચૂંટણી વિસ્તારોમાં જ પ્રચાર અભિયાન કર્યુ છે. સર્વેમાં એ પણ સામે આવ્યુ કે 48 ટકા લોકો વિચારે છે કે યુપીમાં અખિલેશ યાદવ અને માયાવતીના મહાગઠબંધનથી ભાજપ પર કોઈ અસર નહિ પડે જ્યારે 35 ટકા લોકોનું માનવુ છે કે યુપીમાં ભાજપ પર મહાગઠબંધન ભારે પડશે. વળી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વધી રહેલા દબાણ વચ્ચે સર્વેમાં પૂછાયેલા સવાલો પર 47 ટકા લોકોનું માનવુ છે કે મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટે ગંભીર છે જ્યારે 35 ટકા લોકોએ કહ્યુ કે મોદી સરકાર રામ મંદિર પર ગંભીર જણાતી નથી.
યોગી કે અખિલેશ કોણ છે સીએમ માટેની પહેલી પસંદ
આ સર્વેમાં યુપીના મુખ્યમંત્રી તરીકે લોકપ્રિય ચહેરા અંગે પણ લોકોનું મંતવ્ય લેવામાં આવ્યુ. સર્વે મુજબ પરિણામો સીએમ યોગી માટે અમુક હદ સુધી પરેશાન કરાવનારા છે. જો કે સીએમ યોગી આદિત્યનાથ, યુપીના મુખ્યમંત્રી તરીકે હજુ પણ લોકોની પહેલી પસંદ બનેલા છે પરંતુ તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં કરાયેલા આ સર્વેમાં જ્યાં સીએમ યોગી 43 ટકા લોકોની પસંદ હતા. વળી વર્તમાન સર્વેમાં તેમની લોકપ્રિયતાનો આંકડો ઘટીને 39 ટકા પર પહોંચી ગયો છે. સર્વેમાં 33 ટકા લોકોની પસંદ સાથે બીજા નંબરે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ છે. સપ્ટેમ્બરમાં કરાયેલ સર્વેમાં તેમને 29 ટકા લોકોએ પોતાની પસંદના મુખ્યમંત્રી ગણાવ્યા હતા. માત્ર 14 ટકા લોકોની પસંદ સાથે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.
આ પણ વાંચોઃ હવે 'એરફોર્સ વન' જેવા વિમાનમાં ઉડશે પીએમ-રાષ્ટ્રપતિ, સ્પર્શી નહિ શકે મિસાઈલો