
નીરવ મોદીના રાઈટ હેન્ડ સુભાષ પરબને CBI કાયરોથી પકડીને લાવી ભારત
નવી દિલ્લીઃ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના રાઈટ હેન્ડ સુભાષ શંકર પરબને ભારત લાવવામાં સીબીઆઈને મોટી સફળતા મળી છે. સીબીઆઈની ટીમ સુભાષ શંકરને કાયરોથી પકડીને સોમવારે સવારે ભારત લઈને આવી છે. સુભાષને નીરવ મોદીનો જમણો હાથ માનવામાં આવે છે અને તે તેની ફર્મ ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ લિમિટેડ અને ડાયમંડ આર યુએસમાં સીનિયર ડાયરેક્ટરના પદ પર હતો.
આરોપ છે કે બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડીમાં સુભાષની ભૂમિકા ઘણી મહત્વની હતી. જાન્યુઆરી 2018માં એ પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડથી વધુની છેતરપિંડી સામે આવી ત્યારે સુભાષ ભારત છોડીને ભાગી ગયો હતો. એ વખતે મેહુલ ચોક્સી પણ ભારત છોડીને બહાર ભાગી ગયો હતો. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે સુભાષ સીધો નીરવ મોદીને રિપોર્ટ કરતો હતો, તેને મુંબઈ લાવવામાં આવ્યો છે, તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેને મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર પીએનબી કૌભાંડની તપાસમાં એ વાત સામે આવી છે કે સુભાષ ખુદ વ્યક્તિગત રીતે લેટર ઑફ અંડરટેકિંગ આપતો હતો, તેને નકલી રીતે પીએનબીના અધિકારી ગોકુલનાથ શેટ્ટી સાથે મળીને આ કૌભાંડ કર્યુ હતુ.
તમને જણાવી દઈએ કે પીએનબી બેંક સાથે લગભગલ 14 હજાર કરોડ રુપિયાનુ કૌભાંડ 2018માં સામે આવ્યુ હતુ. આરોપ છે કે નીરવ મોદીએ આ પૈસા અયોગ્ય રીતે ભારતથી બહાર મોકલ્યા. મામલો સામે આવ્યા બાદ નીરવ મોદી દેશમાંથી ભાગી ગયો. 2019માં તેને લંડનથી પકડવામાં આવ્યો અને હાલમાં તે જેલમાં બંધ છે. ભારતીય તપાસ અધિકારીઓ તેને ભારત લાવવા માટે લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં લડી રહ્યા છે. કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતા, જેને નીરવ મોદીએ માનસિક આરોગ્ય અને માનવાધિકારોનો હવાલો આપીને પડકાર્યા છે.