ચંદ્રાબાબુ નાયડૂએ છોડ્યો મોદી સરકારનો સાથ, આંધ્ર પ્રદેશ છે કારણ
તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીએ કેન્દ્રની એનડીએ સરકારની અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે. જાણો આ અંગે વધુ જાણકારી અહીં.
આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ના આપવા મામલે તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીએ કેન્દ્રની એનડીએ સરકારની અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે. બુધવારે સાંજે જ ટીડીપીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ પ્રેસવાર્તા કરીને આ અંગે જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં ટીડીપીના જેટલા પણ મંત્રી છે તે આજે તેમના મંત્રી પદથી રાજીનામું આપે. ઉલ્લેખનીય છે કે ટીડીપીના મોટાભાગના નેતા તેવું ઇચ્છે છે કે ટીડીપી ભાજપ સાથે પોતાના સંબંધ તોડે. કેન્દ્રમાં ટીડીપીના નેતા અશોક ગજપતિ રાજૂ અને વાઇએસ ચૌધરીએ ગુરુવારે સવારે પોતાના પદથી રાજીનામાં આપશે. જો કે ભાજપ અને ટીડીપીના સંબંધોની આ તિરાડને ભાજપ એક મોટા ઝટકા તરીકે જોઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે તેલુગુ દેશમ પાર્ટીના 16 સાંસદ છે. ચંદ્રાબાબુએ તેમની પ્રેસવાર્તામાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો આ નિર્ણય સંભળાવવા માટે તેમને સંપર્ક કર્યો હતો. પણ તેમનાથી આ અંગે વાત નથી થઇ.
તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશ સાથે અન્યાય થયો છે. જેના કારણે અમે કેન્દ્ર સરકારમાં પોતાના મંત્રીઓને રાજીનામા આપવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો પૂર્ણ નથી કર્યો તેમ પણ તેમને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને સત્તાની ભૂખ નથી. અને માટે જ અમે અમારા મંત્રીઓને રાજીનામાં આપવાનું કહી રહ્યા છીએ. હવે બીજું પગલું એનડીએમાં રહેવા અંગે ઉઠાવવામાં આવશે. સાથે તેમણે કહ્યું કે હવે એનડીએ કે ભાજપ જોડે કોઇ પણ વાત ત્યારે જ થશે જ્યારે તે આંધ્ર પ્રદેશને સ્પેશ્યલ પેકેજ આપે. ત્યાં બીજી તરફ નાણાં મંત્રી અરુણ જેટલીએ સોમવારે આંધ્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને જણાવ્યું કે તેમને સ્પેશ્યલ પેકેજ આપી શકાય છે પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અંગે ઉપર ચર્ચા કરીને જ નિર્ણય લેવામાં આવશે.