બેનઝીર હત્યા કેસમાં મુશર્રફ સામે આરોપો ઘડાયા
ઇસ્લામાબાદ, 20 ઓગસ્ટ : પાકિસ્તાનની એક અદાલતમાં પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફ પર પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાના કેસમાં આરોપ ઘડવામાં આવ્યા છે. અદાલતમાં મુશર્રફ પર હત્યા, અપરાધિક ષડયંત્ર ઘડવું અને હત્યામાં મદદ કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે.
મુશર્રફે આ અંગે વર્તમાન સમયમાં કોઇ જાહેર પ્રતિક્રિયા આપી નથી. તેઓ હંમેશાથી આ આરોપોનો ઇનકાર કરતા આવ્યા છે. આ કેસની આગલી સુનવણી 27 ઓગસ્ટના રોજ યોજાશે. તેમને કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે રાવલપિંડીની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુશર્રફની સાથે છ અન્ય લોકોને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાંથી ચાર શકમંદો કટ્ટરપંથી અને બે વરિષ્ઠ પોલીસ અધિકારી હોવાનું જાણવા મળે છે.
બેનઝીર ભુટ્ટોની ડિસેમ્બર 2007માં રાવલપિંડીમાં એક ચૂંટણી સભા દરમિયાન હત્યા કરવામાં આવી હતી. મુશર્રફ સ્વનિર્વાસન બાદ આ વર્ષના પ્રારંભમાં પાકિસ્તાન પરત ફર્યા હતા. હાલમાં તેઓ નજરકેદ છે. મુશર્રફની તત્કાલિન સરકારે બેનઝીરની હત્યા માટે તાલિબાનીઓને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે સંયુક્ત રાષ્ટ્રના વર્ષ 2010માં આવેલા રિપોર્ટ અનુસાર બેનઝીરની હત્યાને ટાળી શકવામાં આવી હોત.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મુશર્રફની સરકાર પૂર્વ વડાપ્રધાનને જરૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હતી. તે સમયે મુશર્રફના માણસોએ આ રિપોર્ટને ખોટી ગણાવી હતી.