For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક 'ભ્રષ્ટ'ને સજા, બદલાશે 'ભ્રષ્ટ' રાજકારણીઓની વૃત્તિ?

By Rakesh
|
Google Oneindia Gujarati News

આપણે હંમેશા ભારતને એક ઉજ્જવલ ભારત, વિકસિત અને ઉન્નત ભારત તરીકે જ વર્ણવીએ છીએ પરંતુ આ જ ઉજ્જવલ અને વિકસિત ભારત કે જેનામાં વિશ્વને પાછળ મુકીને મહાસત્તા બનવાનું સામર્થ્ય છે, તેનો એક વરવો ચહેરો પણ છે, એ છે 'ભ્રષ્ટ' ભારત(જેમાં માત્ર ભ્રષ્ટચારી જ રહેલાં છે). જેમાં અનેક ભ્રષ્ટ રાજકારણીઓ પ્રામાણિકતાનો મુખવટો પહેરીને દેશની જનતાને લૂંટી, પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે. જેઓ પોતાના કાર્ય થકી ઉજ્જવલ ભારત અને ઉન્નત ભારત હોવાનો ગર્વ આપણને લેવા દેતા નથી. આજે... એટલે કે 22 જાન્યુઆરી 2013ના રોજ દિલ્હી ખાતે આવા જ એક 'ભ્રષ્ટ' ભારતના 'ભ્રષ્ટ' નેતાને તેના સાગરીતો સાથે સજા ફટકારવામાં આવી. 10 વર્ષની સજા. તમામ સમાચાર ચેનલ સહિતના માધ્યમોમાં ચૌટાલાને શિક્ષક ભરતી કૌભાંડમાં થઇ 10 વર્ષની સજા ફટકારવામાં આવી તેવા સમાચારો કેન્દ્ર સ્થાને આવી ગયા, પરંતુ આ તો માત્ર એક વ્યક્તિ સડરી રાજકારણી છે કે જેને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, પરંતુ આ 'ભ્રષ્ટ' ભારતમાં એવા ઘણા રાજકરાણીઓ છે જેમના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવામાં આવ્યા છે, જેમાં કેટલાકને આરોપો હેઠળ જેલ સુધી પહોંચાડવામાં આપણું ન્યાયતંત્ર સફળ નિવડ્યું છે, તેમના ચુકાદા વિચારાધિન છે. ત્યારે આજે એક પ્રશ્ન જે વર્ષોથી દેશની પ્રગતિ માટે અવરોધરૂપ બની રહ્યો છે તે ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી આખો સમક્ષ આવી ગયો છે, પરંતુ શું આ એક ચુકાદા બાદ આપણે જેમને અમૂલ્ય મત આપીને લોકકાર્ય માટે નિમ્યા છે તેમની એ 'ભ્રષ્ટ' વૃત્તિમાં બદલાવ આવશે ખરો....?

1948 એટલે કે ભારતને અંગ્રેજોના હાથમાંથી આઝાદ કરાવી એક આઝાદ રાષ્ટ્ર બનાવવામાં આવ્યા બાદના એક વર્ષ પછી જ ભારતમાં એક ભ્રષ્ટ રાષ્ટ્રનું પણ નિર્માણ થઇ ચૂક્યું હતું. જે આજ દિન સુધી યથાવત છે. દેશમાં એવા અનેક મસમોટા ભ્રષ્ટાચારો દેશમાં કરવામાં આવ્યા. જે અંગે અવારનવાર સમાચાર પ્રત કે સમાચાર ચેનલોમાં સાંભળવા મળ્યા છે. ઘણા સ્ટિંગ ઓપરેશન પણ થયાં, ઘણા નેતાઓની સંડોવણી પણ તેમાં બહાર આવી તેમ છતાં પણ તેમના સામે કોઇ આકરા પગલાં ના લેવાયા કે તેમને તેમના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટ કૃત્ય બદલ સજા ફટકારવામાં આવી. આજે દેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયેલા ભ્રષ્ટાચારને નાથવા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા, ક્યાંક વિરોધ પ્રદર્શન કરાયા તો ક્યાંક અનશન થકી દેશને જાગૃત કરવાના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ દેશના એ એક વરવા ચહેરામાં જરા પણ પરિવર્તનની આંધી ફૂંકાઇ નહીં, સુરેશ કલમાડી હોય, એ રાજા હોય, લાલુ પ્રસાદ યાદવ હોય, શરદ પવાર હોય કે પછી કોલસા ફાળવણી કૌભાંડ, 2જી સ્કેમ, આદર્શ સોસાયટી કૌભાંડ હોય કે પછી ઘાસ-ચારા કૌભાંડ તમામમાં રાજકારણીઓના નામ આવતા રહ્યાં છે, દેશમાં રાજકારણીઓ પર ફિટકાર વરસાવાઇ છે છતાં પણ કોઇ બદલાવ નહીં... ઓમ પ્રકાશ ચૌટાલાને કોર્ટ દ્વારા 2000માં કરવામાં આવેલા કૌભાંડમા સજા 10 વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ થોડીક આશા જાગી છે કે કદાચ આ ચૂકાદા અને રાજકારણીને મળેલી જેલની સજા બાદ બોધપાઠ લઇને દેશના બધા તો નહીં પરંતુ કેટલાક નેતાઓ પોતાની એ ભ્રષ્ટ વૃત્તિ છોડશે, પરંતુ આ માત્ર આશા જ છે અને એ આશા જ બની રહેશે કારણ કે... જ્યાં સુધી આપણે તેમને સજા નહીં બદલાઇએ ત્યાં સુધી ભ્રષ્ટ ભારતના ભ્રષ્ટ રાજકારણીઓની વૃત્તિ પણ નથી બદલાવાની....

દેશના ટોપ ભ્રષ્ટાચાર

જીપ કૌભાંડઃ 1948માં ભારત દ્વારા 2000 જીપનો લંડન સ્થિત એક કંપનીને આપવામાં આવ્યો હતો. તેની રકમ પણ અદા કરી દેવામાં આવી હતી પરંતુ ભારતમાં માત્ર 155 જીપ જ આવી હતી. આ કૌભાંડમાં જે તે સમયે લંડનમાં ભારતના કમિશનર વી કે શર્માનું નામ બહાર આવ્યું હતું.

મુધરા કૌભાંડઃ આ કૌભાંડમાં ઇન્દિરા ગાંધીના પતિ ફિરોજ ગાંધીનું નામ બહાર આવ્યું હતું. નાણામંત્રી ટીટી ક્રિશ્નાકામચારી, ફાઇનાન્સ સેક્રેટરી એચએમ પટેલ, એલઆઇસી ચેરમેન એલ એસ વિદ્યાનાથન સહિત અનેકના નામ બહાર આવ્યા હતા.

મારુતિ કૌભાંડઃ આ કૌભાંડમાં સ્વ ઇન્દિરા ગાંધીનું નામ જોડાયું હતું. આ કૌભાંડ અંગે એવું કહેવામાં આવે છે કે તેમના પુત્રએ અતિ પ્રતિબંધિત વિસ્તારમાં પેસેન્સર કાર્સને લાઇસન્સ આપવા માટે અનુમતિ દર્શાવી હતી.

ઓઇલ કૌભાંડઃ આ કૌભાંડમાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીનું નામ બહાર આવ્યું હતું. 200 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ હોન્ગકોંગની કોઉ ઓઇલ કંપનીને આપવામાં આવ્યો હતો. જેમાં સરકારને 13 કરોડનું નુક્સાન પહોંચ્યું હતું. એ સમયે એવું પણ કહેવાયું હતું કે આ કૌભાંડમાં સીધો લાભ ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીને પહોંચ્યો હતો.

થલ વૈશેત પ્રોજેક્ટ કૌભાંડ(THAL Vaishet project scam): આ કૌભાંડમાં પેટ્રોલિયમ સેક્રેટરી એચએન બહુગુણા, એનએન કાપડિયા, પેટ્રોલિયમ મંત્રી પીસી શેઠી અને કેપી ઉન્નીક્રિશ્નનને આરોપી ઠેરવવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર સિમેન્ટ કૌભાંડઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એઆર અતુલ્યનું નામ આ કૌભાંડ દરમિયાન ઉછળ્યું હતું. એવું કહેવાય છે કે આ કૌભાંડમાં મુખ્યમંત્રીએ સરકારી સિમેન્ટ કોઇ પ્રાઇવેટ કંપનીને આપ્યો હતો.

જર્મન સબમરિન કૌભાંડઃ આ કૌભાંડ પણ ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલો હતો. ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા જર્મનની કંપની પાસેથી બે સમબરમિનની ખરીદી દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેવું જે તે સમયે કહેવામાં આવતું હતું.

બોફર્સ કૌભાંડઃ આ કૌભાંડમાં રાજીવ ગાંધી અને અન્ય કેટલાકના નામ બહાર આવ્યા હતા અને તેમના પર કૌભાંડ આચરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ઉક્ત તમામ લોકો દ્વારા આ કૌભાંડમાં 64 કરોડની રકમ મેળવવામાં આવી હતી.

જૈન હવાલા કૌભાંડઃ આ કૌભાંડમાં એલ કે અડવાણી, વી સી શુક્લ, સી કે જફર શરિફ, આરિફ મહોમ્મદ ખાન, મદન લાલ ખુરાના, કલ્પનાથ રાઇ, એનડી તિવારી સહિતના લોકોના નામ આવ્યા હતા તેમણે કરોડો રૂપિયા મળ્યા હોવાનું એ સમયે કહેવામાં આવતું હતું.

ઘાસ-ચારા કૌભાંડઃ બિહારના એ સમયના મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ અને અન્ય કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવ્યા હતા. આ કૌભાંડ 950 કરોડની આસપાસનું હોવાનું મનાય છે.

બેલરી માઇન્સ કૌભાંડઃ આ કૌભાંડમાં રોયલટી મુદ્દે કર્ણાટકની સરકાર ફસાઇ હતી. જેમાં જી કરુનકરા રેડ્ડી અને જી જનાર્દન રેડ્ડી કે જેઓ બન્ને મંત્રીઓ હતા તેમના નામ બહાર આવ્યા હતા. આ સ્કેમના કારણે બીએસ યેદીયુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ કૌભાંડમાં સરકારને 16,085 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા.

આદર્શ કૌભાંડઃ આ કૌભાંડમાં મહારાષ્ટ્ર સરકાર ફસાઇ હતી. આર્મીના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા ફ્લેટ્સને લઇને એક કૌભાંડ થયો હતો. જેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી સુશિલકુમાર શિંદે, વિલાસરાવ દેશમુખ અને અશોક ચવ્હાણનું નામ બહાર આવ્યું હતું. એવો આરોપ હતો કે રાજકારણીઓ પોતાના સગાવ્હાલાંઓને આદર્શ સોસાયટીમાં ફ્લેટ્સ આપી દીધાં હતા.

ટાટ્રા ટ્રક કૌભાંડઃ આર્મી માટે 7000 હજાર જેટલા ટ્રક ખરીદવાને લઇને આ કૌભાંડ બહાર આવ્યો હતો. આ કૌભાંડ 750 કરોડની આસપાસનું હોવાનું માનવામાં આવે છે.

કોમનવેલ્થગેમ્સ કૌભાંડઃ દેશના સૌથી મોટા કૌભાંડમાંનું આ એક કૌભાંડ માનવામાં આવે છે. દેશમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સુરેશ કલમાડી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યો હોવાના આરોપ છે. કોમનવેલ્થ ગેમ્સમાં 70000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું કહેવાયું હતું પરંતુ તેમાંથી અડધી કરમ જ ખર્ચ થઇ હતી.

2જી સ્પેક્ટ્રમ કૌભાંડઃ આ કૌભાંડ પણ દેશના ટોચના કૌભાંડમાં પોતાનું સ્થાન ધરાવે છે. જેમાં એ રાજા સહિતના રાજકારણીઓના નામ બહાર આવ્યા હતા. જો કે, આ કેસમાં સજા વિચારાધિન છે. આ કૌભાંડ 176,000 કરોડની આસપાસનો છે.

કોલસા કૌભાંડઃ કેગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં આ ખુલાસો થયો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલી કોલસા ખાણ ફાળવણીમાં આચરવામાં આવેલા ભ્રષ્ટચારના કારણે સરકારની તિજોરીમાં 186,000 કરોડ રૂપિયાનું નુક્સાન પહોચ્યું હતું. આ કૌભાંડમાં હાલના પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સહિતના અનેક રાજકારણીઓના નામ બહાર આવ્યા હતા.

ભ્રષ્ટતામાં ભારત 93મું રાષ્ટ્ર

2012માં એક સર્વે બહાર આવ્યો હતો. જેમાં વિશ્વભરના દેશોમાં કરવામાં આવતા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને દેશોને રેન્ક આપવામાં આવ્યો હતો. 176 ભ્રષ્ટાચારથી ખરાડયેલા રાષ્ટ્રમાં ભારત 93માં ક્રમાંકે એટલે કે 79 દેશો કરતા વધારે ભ્રષ્ટાચાર ભારતમાં થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર આપણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે જણાવવામાં આવ્યું છે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા પ્રોજેક્ટસ સહિતની બાબતોમાં કોઇને કોઇ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, તે જણાવાયું છે.

ભારતે બદલાવું પડશે નહીંતર નહીં ભુસાય આ ભ્રષ્ટ ચેહરો

જો 1948માં થયેલા જીપ કૌભાંડ અને ત્યાર બાદના અમુક વર્ષો પછીના એકાદ બે કૌભાંડ બાદ જ ભારતે પોતાની કડક વલણ અખ્તિયાર કર્યું હોત તો કદાચ આજે ભારતમાં કરોડો અને અબજો રૂપિયાના કૌભાંડ આચરવાની હિંમત આપણા નેતાઓ દ્વારા સ્વપ્ન સુદ્ધામાં કરવામાં આવી ના હોત, પરંતુ દેર આયે દુરસ્તની જેમ યુવા પેઢી જે રીતે જાગૃત થઇ રહી છે તે રીતે ચોક્કસપણે કહી શકાય કે જો ભારતને સંપૂર્ણતઃ નહીં પરંતુ મૃતપ્રાય અવસ્થામાં લાવવું હોય તો ભારતે બદલાવું પડશે, ભારતના નાગરીકે બદલાવું પડશે, ભ્રષ્ટચાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કે પછી પ્રદર્શન માત્ર નહીં એક્શનમાં પણ આવવું પડશે તો જ આ ભ્રષ્ટ ચહેરો ભારતના અસલી ચહેરા પરથી દૂર થશે.

સુરેશ કલમાડી

સુરેશ કલમાડી

દેશના ટોચના કૌભાંડમાં સ્થાન પામનાર કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ સુરેશ કલમાડી દ્વારા એકલા હાથે કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગેમ્સ શરૂ થતાની સાથે જ આ કૌભાંડ પણ ઉજાગર થયું હતું. ગેમ્સમાં 7000 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી પણ અડધી રકમ જ ઉપયોગમાં લેવાઇ હતી. તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવી તેમને તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

એ રાજા

એ રાજા

દેશના સૌથી મોટા કૌભાંડમાના 2G સ્પ્રેક્ટ્રમ કૌભાંડમાં એ રાજાનું નામ બહાર આવ્યું હતું.આ કૌભાંડ 176,000 કરોડની આસપાસનું હતું. આ કૌભાંડના તે મુખ્ય આરોપીમાના એક હતા. તેઓ તે સમયે કોમ્યિુનિકેશન અને આઇટીના યુનિયન કેબિનેટ મિનિસ્ટર હતા. તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી અન તેઓ હાલ તિહાર જેલમાં છે.

લાલૂ પ્રસાદ યાદવ

લાલૂ પ્રસાદ યાદવ

લાલૂ પ્રસાદ ભ્રષ્ટાચારના બહુ મોટા ખેલાડી છે. તેમના પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. સૌથી મોટું અને ચર્ચિત કૌભાંડ ઘાસચારાનું છે. જે અંદાજે રૂપિયા 950 કરોડની આસપાસનું છે.

મધુ કોડા

મધુ કોડા

મધુ કોડા પર 4000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. તેમણે ગેરકાયેદે માઇનિંગને લાઇસન્સ આપીને આ કૌભાંડ કર્યું હોવાના તેમના પર આરોપ લાગ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હજુ પણ તેઓ જેલમાં છે.

કરુણાનિધિ

કરુણાનિધિ

તેમના પર ઘણા કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે. સાઉથમાં વોટ્સ કૌભાંડ પણ તેમના દ્વારા કરવામાં આવ્યં હતું અને 2જી સ્કેમમાં પણ તેઓ મુખ્ય આરોપીમાના એક હતા. એ રાજાએ તેમનું નામ પોતાના મેન્ટર તરીકે કર્યું હતું.

શરદ પવાર

શરદ પવાર

પવાર અને તેમના પરિવારના નામ અનેક ગેરકાયેદ પ્રોજેક્ટસ સાથે જોડાયેલા છે. અબ્દુલ કરિમ તેલગી દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં પણ તેમનું નામ બહાર આવ્યું હતું. તેમજ ઇપોર્ટ્સમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આરોપો તેમના પર લગાવવામાં આવ્યા હતા.

જયલલિતા

જયલલિતા

તેમના પર 40 કરતા પણ વધારે ભ્રષ્ટાચારના આરોપો છે. તેમના પરણ 70 મિલિયનનો કોલ ઇમ્પોર્ટ સ્કેમ, તાન્સી લેન્ડ ડિલ કેસ સહિતના કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે. હજું પણ તેમના વિરુદ્ધ જે આરોપો છે તેની તપાસનો તે સામનો કરી રહ્યાં છે.

યેદીયુરપ્પા

યેદીયુરપ્પા

કર્ણાટકના જિલ્લાઓમાં ગેરકાયદે રીતે લોંખડની કાચી ધાતુ એક્સપોર્ટના કૌભાંડમાં યેદીયુરપ્પાનું નામ બહાર આવ્યું હતું. આ ઉપરાંત પણ કેટલાક કૌભાંડના આરોપ તેમના પર લગાવવામાં આવ્યા હતા. લોકાયુક્ત બાદ તેમણે પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું અને હવે તેમણે ભાજપ સાથે છેડો પાડી અલગ પાર્ટી બનાવી છે.

English summary
chautala get jail is change our many politicians thinks of corruption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X