સીએમ યોગીએ રામદેવને મનાવી લીધા, યુપીથી બહાર નહિ જાય પતંજલિ ફૂડ
ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં બનનાર પતંજલિનો ફૂડ એન્ડ હર્બલ પાર્ક હવે ત્યાં જ બનશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે બાબા રામદેવ સાથે વાત કરી લીધી છે.
ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં બનનાર પતંજલિનો ફૂડ એન્ડ હર્બલ પાર્ક હવે ત્યાં જ બનશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે બાબા રામદેવ સાથે વાત કરી લીધી છે અને તેમને ફૂડ પાર્ક રાજ્યમાંથી બહાર નહિ લઈ જવા માટે પણ રાજી કરી લીધા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય તરફથી પાર્કને રદ કરવાની નોટિસ મળ્યા બાદ પતંજલિ આયુર્વેદા મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરીને યોગી સરકારના વલણ પણ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમના પર સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ હવે યોગી આદિત્યનાથે રામદેવ સાથે વાત કરીને આ પ્રોજેક્ટને રાજ્યમાંથી બહાર જવાથી રોકી લીધો છે.
યોગી આદિત્યનાથે આપ્યુ આશ્વાસન
પતંજલિનો હજારો કરોડોના મૂલ્યથી બનનાર ફૂડ પાર્ક હવે ઉત્તરપ્રદેશમાં જ બનશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબા રામદેવ સાથે વાત કરીને તેમને આશ્વાસન આપ્યુ છે કે પ્રોજેક્ટ માટે ભૂમિ હસ્તાંતરણને આગામી કેબિનેટ બેઠકમાં ઉકેલી દેવામાં આવશે. સીએમ યોગીએ બાબા રામદેવને કહ્યુ છે કે ફૂડ પાર્કમાં આવી રહેલ દરેક અંતરાયોને વહેલામાં વહેલી તકે ઉકેલી દેવામાં આવશે.
આ કારણે મળી હતી રદ કરવાની નોટિસ
ફૂડ એન્ડ હર્બલ પાર્ક માટે પતંજલિએ એક મેગા ફૂડ પાર્ક માટે કેન્દ્ર સરકારમાં પણ આવેદન કર્યુ હતુ. આ ફૂડ પાર્ક માટે પતંજલિને 150 કરોડની સબસિડી પણ મળતી પરંતુ શરત એ હતી કે 50 એકર જમીન પર અલગ ફૂડ પાર્ક બને. આના માટે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે વધુ સમય લાગવા પર તેને રદ કરવાની નોટિસ આપી દીધી હતી.
આચાર્ય બાલકૃષ્ણએ યોગી સરકાર પર કાઢ્યો હતો ગુસ્સો
રદ કરવાની નોટિસ મળતા આચાર્ય બાલકૃષ્ણએ લખ્યુ હતુ, "આજે ગ્રેટર નોઈડામાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકૃત મેગા ફૂડ પાર્કને રદ કરવાની સૂચના મળી. શ્રીરામ તેમજ કૃષ્ણની પવિત્ર ભૂમિના ખેડૂતોના જીવનમાં સમૃધ્ધિ લાવવાનો સંકલ્પ સ્થાનિક સરકારની ઉદાસીનતાના કારણે અધૂરો રહી ગયો. પતંજલિએ પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવાનો નિર્ણય લીધો છે."
જલ્દી થશે પાર્ક પર કાર્યવાહી
હવે યોગી આદિત્યનાથે બાબા રામદેવને આશ્વાસન આપ્યુ છે કે પાર્કની બધી કાર્યવાહી વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવશે. આદિત્યનાથનું કહેવુ છે કે કેબિનેટ પાસેથી મળેલી જમીનની મંજૂરી બાદ તેનું હસ્તાંતરણ પણ કેબિનેટ જ કરશે.