UP રેલ દુર્ઘટના, એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા
દિલ્હીથી જબલપુર જઇ રહેલી ટ્રેનના જનરલ અને એસી ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના વહેલી સવારે થઇ હતી, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા.
ઉત્તર પ્રદેશ ના મહોબામાં ગુરૂવારે રેલ દુર્ઘટના ઘટી હતી. દિલ્હી થી જબલપુર જતી મહાકૌશલ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહને ઘટનાસ્થળે મોકલ્યા હતા.
યોગી આદિત્યનાથે મંત્રી સિદ્ધાર્થ સિંહને ત્યાંની પરિસ્તથિતિનું તથા રાહત-બચાવ કાર્યનું નિરીક્ષણ કરવાનું જણાવ્યું છે. આ ઘટનાની સૂચના મળતાં જ ડીએમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મહોબાના કુલપહાડ રેલવે સ્ટેશન પાસે ગુરૂવારે રાત્રે લગભગ 2 વાગે મહાકૌશલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. એસી અને જનરલ કોચના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. હાલ ઘાયલોની સંખ્યા22 કહેવાઇ રહી છે. ભારતીય રેલવેના ડીજી(પીઆર)એ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તોમાંથી 19 લોકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસચાર્જ મળી ગયું છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ થી 270 કિલોમીટર દૂર આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને મહોબાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના કઇ રીતે ઘટી, એની પણ તપાસ થઇ રહી છે.
અહીં વાંચો - ઉદેપુરમાં ભારતીય સેનાએ અંજામ આપ્યો મોટા ફાયર ફાઇટિંગ ઓપરેશનને
રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રેલવે અને પોલીસ અધિકારી તથા ચીફ મેડિકલ ઓફિસર સુનીલ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેલવેએ ગ્વાલિયર, ઝાંસી, બાંદા અને હજરત નિઝામુદ્દીન સ્ટેશન પર હેલ્પલાઇન બનાવી છે, જેથી યાત્રીઓના સગા-સંબંધીઓને જાણકારી મળી શકે.
હેલ્પલાઇન નંબર
ઝાંસી - 0510-1072
ગ્વાલિયર - 0751-1072
બાંદા - 05192-1072