સરકારી નોકરી જોઇએ છે તો પહેલા બોર્ડર પર 5 વર્ષ સેવા આપો : સંસદીય સમિતિ
સરકારી નોકરી કરવાની ઇચ્છા તો બધાને હોય છે પણ આવી ઇચ્છા રાખનાર લોકો હવે કદાચ 5 વર્ષ પહેલા સેનામાં સેવા આપવી પડશે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
બજેટ સત્ર દરમિયાન ફરી એક વાર સંસદમાં ભારતીય સેનામાં જવાનોના પ્રશ્નો અને તેમની પાસે જે આધુનિક હથિયારીની અછત છે તેમામલે ચર્ચા થઇ હતી. ગત મંગળવારે સંસદીય સ્થાયી સમિતિએ આ મામલે એક રિપોર્ટ દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે હાલના સમયમાં ભારતીય જવાનોની ભર્તી એક મોટી સમસ્યા છે. અને સમય રહેતા આ સમસ્યાનો ઉકેલ નીકાળવો જરૂરી છે. સંસદીય સ્થાયી સમિતિએ પોતાની રિપોર્ટમાં એક સૂચન કરતા કહ્યું છે કે દેશમાં જે યુવાનો સરકારી નોકરી કરવા ઇચ્છે છે તે યુવાનોને પહેલા 5 વર્ષ બોર્ડર પર સેનાની સર્વિસમાં રાખવા જોઇએ. જેનાથી આ પ્રશ્નનો ઉકેલ નીકળી શકે.
કેન્દ્રીય સમિતિની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી નોકરી પહેલા જો લોકો સેનામાં પોતાની સેવા આપશે તો તે વધુ અનુશાસિત રહેશે. સમિતિએ કહ્યું હતું કે ભારતીય રેલ્વેથી લઇને તમામ સરકારી વિભાગોની નોકરી માટે જેટલી અરજીઓ આવે છે તેમાંથી અડધી અરજીઓ પણ સેનામાં નથી આવતી. લોકોનું ધ્યાન સરકારી નોકરીમાં છે પણ દેશની સેવા કરવામાં લોકો રસ ઓછો છે. સંસદની સ્થાઇ સમિતિએ મંગળવારે તે પણ જણાવ્યું કે આપણી સેના પાસે હાલ જે હથિયારો છે તેમાંથી 68% હથિયારો જૂના છે.
પાકિસ્તાન અને ચીન જે રીતે પોતાની સેનાનું આધુનિકરણ કરી રહી છે અને સૈન્ય ક્ષમતા વધારી રહી છે તે જોતા ભારતીય સેનાની સ્થિતિ ચિંતાજનક છે. ભાજપ સાંસદ મેજર જનરલ ભુવન ચંદ્ર ખંડૂરી(નિવૃત્ત)ની અધ્યક્ષતામાં આ સમિતિએ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. અને આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. સ્થાઇ સમિતિએ તેમ પણ કહ્યું કે બજેટમાં સેનાના આધુનિકરણ માટે જે 21,338 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે પણ ઓછા છે. સાથે જ જણાવ્યું કે આ પહેલા પણ જે 29,033 કરોડ ખર્ચો કરવાની વાત કરવામાં આવી હતી તેને પણ હજી સુધી પૂરી નથી કરવામાં આવી. જેના કારણે પણ સેના પોતાના આધુનિકરણ માટે ખાસ કંઇ નથી કરી શકતી.