કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ઈમરજન્સી લગાવવાની કરી માંગ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે માંગ કરી છે કે પશ્ચિમ બંગાળમાં ઈમરજન્સી લગાવવામાં આવે.
કોલકત્તાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે માંગ કરી છે કે પશ્ચિમ બંગાળમાં ઈમરજન્સી લગાવવામાં આવે. અધીર રંજને કહ્યુ કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં સંપૂર્ણપણે ચોપટ થઈ ગઈ છે માટે આર્ટિકલ 355નો પ્રયોગ કરીને અહીં ઈમરજન્સી લગાવવી જોઈએ. વાસ્તવમાં જે રીતે બીરભૂમમાં લોકોને ઘરમાં બંધ કરીને જીવતા સળગાવવામાં આવ્યા તે બાદથી મમતા સરકાર સતત વિપક્ષના નિશાના પર છે. તમને જણાવી દઈએ કે કોલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.
કદમતલાથી હાવડા વચ્ચે અધીર રંજન ચૌધરીએ પદયાત્રા કાઢી હતી. આ દરમિયાન તેમણે છાત્ર અનીસ ખાનના રહસ્યમય મોતની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે અનીસ ખાનનુ ફેબ્રુઆરી મહિનામાં મોત થઈ ગયુ હતુ. ચૌધરીએ કહ્યુ કે એક પછી એક આ પ્રકારની ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં થઈ રહી છે. છાત્ર નેતા અનીસ ખાનને ત્રીજા માળેથી ધક્કો મારી દેવામાં આવ્યો અને રાજ્ય સરકાર તપાસના નામે વાસ્તવમાં ષડયંત્રકારીઓને બચાવવાની કોશિશ કરી રહી છે. ત્યારબાદ હવે બીરભૂમ જિલ્લામાં આ હિંસક ઘટના સામે આવી છે જ્યાં 8 લોકોને જાનથી મારી નાખવામાં આવ્યા છે.
ચૌધરીએ કહ્યુ કે જલડામાં અમારા નેતા તપન કાંડુની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી, આ કેસમાં પણ યોગ્ય તપાસ કરવામાં આવી નથી. આ બધી ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ તપાસ નથી થઈ. માટે આ સ્થિતિમાં અમે માંગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવે, મમતા બેનર્જી રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તમને જણાવી દઈએ કે આર્ટિકલ 355 હેટળ રાજ્યમાં ઈમરજન્સી લગાવવામાં આવે છે જે હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યની રક્ષા માટે હસ્તક્ષેપ કરી શકે છે અને આંતરિક ઉથલ-પાથલને શાંત કરવા માટે જરુરી પગલાં લઈ શકે છે.