PM મોદીના જન્મદિવસે કોંગ્રેસ મનાવી રહી છે 'બેરોજગારી દિવસ', રાહુલ ગાંધી બોલ્યા - 'હેપ્પી બર્થડે'
જો કે રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે જ્યારે કોંગ્રેસ મનાવી રહી છે 'બેરોજગારી દિવસ.'
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(17 સપ્ટેમ્બર) 71 વર્ષના થઈ ગયા છે. પોતાના જન્મદિવસે તેમને દેશ-વિદેશના દિગ્ગજોથી શુભકામના સંદેશ મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શુક્રવારે પીએમ મોદીને તેમના 71માં જન્મદિવસે શુભકામના પાઠવી છે. રાહુલ ગાંધીએ શુભકામના પાઠવીને ટ્વિટમાં લખ્યુ - 'જન્મદિવસ મુબારક હો, મોદીજી.' જો કે રાહુલ ગાંધીનુ આ ટ્વિટ ત્યારે આવ્યુ છે જ્યારે તેમની પાર્ટીએ આ પ્રસંગે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો મોકો છોડ્યો નથી. પીએમ મોદીના જન્મદિવસને ભારતીય યુવા કોંગ્રેસે 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે મનાવવાનુ એલાન કર્યુ છે.
રાહુલ ગાંધીના ટ્વિટ પર ઘણા લોકોએ વાંધો વ્યક્ત કર્યો છે યુઝર્સે રાહુલ ગાંધીના શુભકામના સંદેશ પર સવાલ ઉઠાવીને કહ્યુ કે તમે પીએમ મોદીને શુભકામનાઓ કેમ આપી રહ્યા છો જ્યારે ભારતીય યુવા કોંગ્રેસ આ દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે મનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના વિરોધમાં ભારતીય યુવા કોંગ્રેસે આ દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે મનાવીને દેશભરમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે. ભારતીય યુવા કોંગ્રેસનો દાવો છે કે દેશમાં બેરોજગારી દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થઈ ગયો છે.
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી વીએ કહ્યુ કે, 'દેશના યુવાનો આજે રસ્તા પર બેરોજગાર ફરી રહ્યા છે. મોદી સરકાર વર્ષમાં 2 કરોડ નોકરીઓ આપવાના મોટા-મોટા વચનો આપીને સત્તામાં આવી પરંતુ આજે કેન્દ્ર સરકાર રોજગાર મુદ્દે સંપૂર્ણપણે મૌન છે. ખોટા પ્રચાર કરીને પોતાના બ્રાંડિંગમાં વ્યસ્ત છે.' વળી, કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો કે આખા ભારતમાં બેરોજગારીનો દર વધી ગયો છે કારણકે મોદી સરકારે પોતાના 'દોસ્તો'ને લાભ પહોંચાડવા માટે અન્ય વ્યવસાયો પર 'હુમલો' કર્યો છે. મોદી સરકારની નીતિએ બેરોજગારી વધારીને યુવાનોને આત્મનિર્ભર બનાવ્યા છે.