મોદીજી વિદેશ પ્રવાસ જ્યારે પણ જાવ તો નિરવ મોદીને લેતા આવજો : રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને નિરવ મોદીની કરી તુલના. મેધાલયમાં યોજવામાં આવેલ વિધાનસભાની ચૂંટણીની એક જનસભામાં રાહુલે મોદી પર કેવા વાક પ્રહાર કર્યા વિગતવાર જાણો અહીં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પીએનબી કૌભાંડને લઇને ટિપ્પણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેધાલયમાં એક ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે જે રીતે મોદીજી અવાર નવાર વિદેશ પ્રવાસો પર જતા રહેતા હોય તે તે રીતે આ વખતે પણ જ્યારે પીએમ મોદી વિદેશ પ્રવાસે જાય તો સ્વદેશ પાછા ફરતી વખતે ભાગી ગયેલ હિરાના વેપારી નિરવ મોદીને પણ પોતાની સાથે લેતા આવે. નોંધનીય છે કે હાલ રાહુલ ગાંધી પૂર્વોત્તર રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે. અને ગુજરાત વિધાનસભાની જેમ જ અહીં પણ ચૂંટણીની જનસભામાં મોદી સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક તે નથી છોડી રહ્યા. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે પોતાની મહેનતથી કમાયેલા નાણાં પાછા મેળવીને દેશ તેમની પર આભારી રહેશે.
સાથે જ રાહુલે પીએમ મોદી અને નિરવ મોદીની તુલના પણ કરી હતી અને કહ્યું હતું કે નિરવ મોદી હિરા વેચે છે. જેને તે સપનાની વસ્તુ જણાવે છે. વાસ્તવમાં આનાથી કહી શકાય કે તેમણે અનેક લોકોને સપના વેચ્યા છે. જેમાં સરકાર પણ જોડાયેલી છે, જે ત્યાં સુધી આરામથી સૂતી રહી હતી જ્યાં સુધી નિરવ મોદી જનતાની મહેનતની કમાણી લઇને ભાગી ગયો. રાહુલે કહ્યું કે કેટલાક વર્ષો પહેલા બીજા મોદી (વડાપ્રધાન) પણ ભારતની જનતાને સપના વેચ્યા હતા. અચ્છે દિન આવવાના સપના. તમામ ખાતામાં 15 લાખ રૂપિયા આપવાના સપના, બે કરોડ નોકરીઓ આપવાના સપના અને બીજા પણ કેટલાય વાયદા. પણ કંઇ પણ સાબિત ના કરી શકે ખાલી મોટો મોટો વચનો આપવા સિવાય.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ સરકારનું કાર્યકાળ સમાપ્ત થવાની સાથે જ તે વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે આશા, સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ આપવાની બદલે તેમણે ખાલી નિરાશા, ભય, નફરત, હિંસા અને બેરોજગારી જ આપી છે. તેમણે કહ્યું કે વિજય માલ્યા અને નિરવ મોદીના કૌભાંડથી આપણને તે વાત સમજાય છે કે આ સરકાર ભષ્ટ્રાચારને નહીં હટાવી શકે. પણ તેમાં સક્રિય રીતે ભાગીદારી નિભાવતી રહેશે.