ગુરદાસપુર પેટા ચૂંટણી: 'કોંગ્રેસની જીત રાહુલની દિવાળી ભેટ'
ગુરદાસ લોકસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત, વિજેતા કોંગ્રેસ વિજેતાએ કહ્યું કે, આ મોદી સરકારની નીતિઓ પ્રત્યેનો જનતાનો અસંતોષ દર્શાવે છે.
પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠકની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સુનીલ જાખડે લગભગ 2 લાખ મતથી ભાજપ અને શિરોમણિ અકાલી દળના ગંઠબંધનના ઉમેદવાર સ્વર્ણ સલારિયાને માત આપી હતી. સુનીલ જાખડ રવિવાવરે સવારે મત ગણતરી શરૂ થયા બાદથી સતત આગળ હતા. છેલ્લા ચરણ સુધીમાં બંને ઉમેદવારો વચ્ચે લગભગ 1 લાખ 93 હજાર મતનું અંતર હતું. આમ આદમી પાર્ટીના ઉમેદવારે ત્રીજું સ્થાન મેળવીને સંતોષ માનવાનો વારો આવ્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સુનીલ જાખડને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી ભાજપ સાથે જોડાયેલ વિનોદ ખન્ના સતત ચાર વાર જીત મેળવી ચૂક્યા હતા. 27 એપ્રિલ, 2017ના રોજ વિનોદ ખન્નાના નિધન પછીથી આ બેઠક ખાલી હતી. હવે આ બેઠક કોંગ્રેસના ખાતમાં જતી રહી છે. આ હારથી ભાજપ પાસે હવે લોકસભામાં 281 બેઠકો રહી છે. વિજેતા સુનીલ જાખડેએ જણાવ્યું હતું કે, આ પરિણામો કેન્દ્રની મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ જનતાનો અસંતોષ દર્શાવે છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોત સિંહ સિદ્ધુએ આ અંગે કહ્યું કે, આ અમારી પાર્ટીના ભાવિ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે દિવાળીની ભેટ છે.