પ્રિયંકા મહાસચિવ બનતા કાર્યકર્તાઓએ ફોડ્યા ફટાકડા, બોલ્યાઃ ‘ઈન્દિરા ઈઝ બેક'
કોંગ્રેસી કાર્યકર્તાઓએ પોતાના પોસ્ટરો પર પ્રિયંકા ગાંધીને મા દુર્ગાના અવતાર ગણાવ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં ઉતારીને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ઝંડો ફરકાવવા માટે રાહુલ ગાંધીનું આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધીના આ પગલાંથી અન્ય રાજકીય દળોમાં જ્યાં બેચેની જોવા મળી રહી છે તો વળી, પાર્ટી અને કાર્યકર્તાઓમાં પ્રિયંકાની એન્ટ્રી બાદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુપીમાં ઘણી જગ્યાએ કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધીના મહાસચિવ બનાવવા પર ઉજવણી કરી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓએ પોતાના પોસ્ટરો પર પ્રિયંકા ગાંધીને મા દુર્ગાના અવતાર ગણાવ્યા છે. આટલુ જ નહિ આ પોસ્ટર્સમાં 'ઈન્દિરા ઈઝ બેક' પણ લખવામાં આવ્યુ છે.
ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
પ્રિયંકા ગાંધીને યુપીમાં કોંગ્રેસના મહાસચિવ બનાવા પર રાયબરેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. વળી, દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં કાર્યકર્તાઓએ મિઠાઈ વહેંચીને પ્રિયંકા ગાંધીના મહાસચિવ બનવા પર ખુશી વ્યક્ત કરી. આ ઉપરાંત લખનઉ અને અમેઠીમાં પાર્ટી ઓફિસમાં કાર્યકર્તા પ્રિયંકા ગાંધીના પોસ્ટર લહેરાતા જોવા મળ્યા.
આ પોસ્ટર્સ પર લખ્યુ છે, ‘ઈન્દિરા ઈઝ બેક'
ભ્રષ્ટાચાર રૂપી અસુરોનો સંહાર કરવા માટે મા દુર્ગાના અવતાર પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનો પ્રભાર આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીનો કોટિ કોટિ ધન્યવાદ. પોસ્ટરમાં સૌથી પહેલા મહિષાસુરનો ફોટો છાપેલો છે. તેની આગળ ઈન્દિરા ગાંધી અને પછી નીચે મોટો પ્રિયંકા ગાંધીનો ફોટો લાગેલો છે. આ પોસ્ટરને કોંગ્રેસી કાર્યકર્તા રાહુલ અવસ્થી અને કે ડી દીક્ષિતે છપાવ્યા છે.
રાહુલજીનું એક શ્રેષ્ઠ પગલુ
પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવા પર કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરીએ કહ્યુ કે આ રાહુલજીનું એક શ્રેષ્ઠ પગલુ છે. ભાજપ હતાશ છે. આના પર આશ્ચર્ય ન હોવુ જોઈએ. આ નિર્ણય એવો છે જેની સંભાવના હંમેશાથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. મને લાગે છે કે આપણે સૌએ ચૂંટણી પહેલા વધુ સરપ્રાઈઝની રાહ જોવી જોઈએ.
એક શ્રેષ્ઠ સારથી મળી ગયો
કોંગ્રેસ એમએલસી દીપક સિંહે અમેઠીમાં કહ્યુ કે કોંગ્રેસ માટે સારા દિવસ છે, રાહુલજીએ સારો સંદેશ આપ્યો. રાહુલ ગાંધીજીને પ્રિયંકા ગાંધીના રૂપમાં એક શ્રેષ્ઠ સારથી મળી ગયો છે. નિશ્ચિત રીતે અમને વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશમાં પણ અમે જીતીશુ અને દેશમાં 2019માં રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે.
બેકફૂટ પર નહિ રમે કોંગ્રેસ
રાહુલે કહ્યુ કે કોંગ્રેસ બેકફૂટ પર નથી રમવાની. કોંગ્રેસ પાર્ટી ફ્રન્ટ ફૂટ પર રમશે. કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારા માટે લડી રહી છે. પ્રિયંકા હોય કે જ્યોતિરાદિત્ય સિંધિયા હોય બંને કોંગ્રેસ પાર્ટીના બહુ પાવરફૂલ નેતા છે. મહાગઠબંધન પર રાહુલે કહ્યુ કે માયાવતીજી અને અખિલેશજીનો હું આદર કરુ છુ કે તેમણે પોતાનુ ગઠબંધન બનાવ્યુ અને અમારા ત્રણેનું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. માયાવતીજી અને અખિલેશજી સાથે અમારી કોઈ દુશ્મની નથી, પ્રેમ છે. આપણે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા માટે લડવુ હોય તો આપણે ઉત્તર પ્રદેશમાં પૂરા દમથી લડીશુ. જો તેઓ વાતચીત કરવા ઈચ્છતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી.
આ પણ વાંચોઃ સુરતના 4 મંદિરોમાં ચોરોએ ચક્કર કાપ્યા, દાનપેટી તોડી લૂટ્યો ખજાનો