ભારતમાં કોરોનાનો નવો 'સ્ટ્રેન' બની શકે છે વધારે ચેપી : એઇમ્સ પ્રમુખ રણદીપ ગુલેરિયા - BBC Top News
ભારતમાં કોરોનાનો નવો 'સ્ટ્રેન' બની શકે છે વધારે ચેપી : એઇમ્સ પ્રમુખ રણદીપ ગુલેરિયા - BBC Top News
ભારતમાં કોરોના વાઇસનો નવો પ્રકાર વધુ ચેપી હોવાની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના પ્રમુખે આશંકા વ્યક્ત કરી છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન વધારે સંક્રામક બની શકે છે. એઇમ્સના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ એવી આશંકા જણાવી છે.
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસની સામેની હર્ડ ઇમ્યુનિટી બની છે એ એક ભ્રમ છે. કારણ કે આના માટે 80 ટકા લોકોમાં કોરોના વાઇસના ઍન્ટિબોડી બનવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે જો આપણે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનની વાત કરીએ, જે વધારે સંક્રામક અને ખતરનાક સાબિત બની શકે છે. નવો સ્ટ્રેન એક વખત કોરોના વાઇરસ જેને થઈને મટી ગયો હતો તેને ફરીથી થઈ શકે છે.
હર્ડ ઇમ્યુનિટી બનવામાં થતી મુશ્કેલીઓ દર્શાવતા ગુલેરિયાએ એનડીટીવીને કહ્યું કે કોરોના વાઇરસના નવા મ્યૂટેશન અથવા સ્ટ્રેન વાઇરસ પ્રત્યે શરીરમાં બનનારી પ્રતિરોધક ક્ષમતાથી બચવાનો રસ્તો નીકાળી લે છે. જેથી ઍન્ટિબોડી લેનારને પણ ફરી સંક્રમિત કરી શકે છે. એવામાં લોકોને કોરોના વાઇરસને લઈને પહેલાંની જેમ સતર્કતા રાખવી જોઈએ.
પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો મારા માટે 'ધર્મસંકટ'ની સ્થિતિ સમાન: નિર્મલા સીતારમણ
દેશમાં શનિવારે સતત 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ઈંધણના ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા છે.
તેના પર રાજકારણ પણ ગરમાયું છે. બીજીબાજુ નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સ્થિતિને તેમના માટે 'ધર્મસંકટ' ગણાવી હતી.
ડુંગળીવાળા નિવેદનની જેમ તેમનું આ નિવેદન પણ વિવાદાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે ભાવવધારો અફસોસજનક બાબત છે. અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે મળીને તેના પર કામ કરવું પડશે.
દિશા રવિના કેસમાં પૂર્વ જજ, પૂર્વ પોલીસ અધિકારીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, પોલીસ એક્શનનું સમર્થન
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પૂર્વ ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓના જૂથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દિશા રવિની ધરપકડ મામલે પત્ર લખ્યો છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે તે નિર્દોષ હોવા માટે તેની ઉંમરને ટાંકવામાં આવે છે. તેની સામે પત્ર લખનાર લોકોએ દલીલ કરી છે કે તમે જે પ્રકારના કર્મો કર્યા છે તે દેશ વિરોધી હોય તો તેનો શું અર્થ?
આ પત્રમાં ત્રણ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ, 17 પૂર્વ જજ, 18 પૂર્વ ડીજીપી, દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર, ગૃહ મંત્રાલયના પૂર્વ સ્પેશિયલ સેક્રેટરીનો સમાવેશ થાય છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે “દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના કોઈ અયોગ્ય દબાણ વિના મુક્ત અને ન્યાયી રીતે તેની તપાસ કરવામાં સમર્થ છે. દેશ-વિદેશમાં અલગતાવાદી દળોને માટે જે વ્યક્તિઓ મદદરૂપ થાય છે, તે બધા બદમાશી તત્વો સામે ગુનો નોંધશે. આ લોકો પ્રયાસ કરી અંધાધૂંધી ફેલાવો અને રાષ્ટ્ર વિરોધી દળોને તેમના પોતાના સ્વાર્થ માટે સેવા આપવા બૌદ્ધિક કવર પ્રદાન કરો."
તરુણ બારોટને સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાંથી છોડી દેવામાં આવ્યા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શનિવારે 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરુણ બારોટને 2003માં થયેલાં સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં તેમની સામેલગીરીના પુરાવા ન હોવાના કારણે તેમને છોડી મૂક્યા છે.
ડીએસપી બારોટની સાથે પોલીસ કૉન્સ્ટેબલ છત્રસિંહ ચુડાસમાને પણ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બીએ દવેએ દોષમુક્ત કર્યા છે.
તરુણ બારોટના વકીલે કહ્યું હતું કે સાદિક જમાલની કસ્ટડી મુંબઈથી લીધી હોવાની વાત સાક્ષીએ કરી છે પરંતુ તેના કોઈ પુરાવા મળ્યા નથી.
નરોડાના ગેલેક્સી થિયેટરની પાસે 13 જાન્યુઆરી , 2013ના રોજ સાદિક જમાલની હત્યા કરી દેવામાં આવી હતી.
ભાવનગરના યુવાન સાદિક જમાલ પર આરોપ હતો કે તે લશ્કર-એ-તૈયબાનો ટ્રેઇન્ડ ઑપરેટિવ હતો. જે તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો