ઘટી રહી છે કોરોનાની ગતિ, 24 કલાકમાં સામે આવ્યા 1.27 લાખ નવા કેસ, 2.55 લાખ નવા દર્દી થયા રિકવર
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી બગડેલી સ્થિતિ હવે સુધરતી હોય તેવુ લાગી રહ્યુ છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી બગડેલી સ્થિતિ હવે સુધરતી હોય તેવુ લાગી રહ્યુ છે. મંગળવારે કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં કમી જોવા મળી. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 1,27,510 નવા કેસ મળ્યા છે જ્યારે આ દરમિયાન 2795 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા એક દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના કુલ 2,55,287 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે લગભગ 54 દિવસ બાદ ભારતમાં કોરોના વાયરસના સૌથી ઓછા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઝડપથી વધવાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસ પણ ઘટીને 18,95,520 પર આવી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ સક્રિય કેસોમાં 1,30,572ની કમી આવી છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધીને 92.09 પહોંચી ગયો છે.
કોરોનાથી દેશમાં 3,31,895 લોકોના મોત
નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,81,75,044 અને રિકવર દર્દીઓની સંખ્યા વધીને 2,59,47,629 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશમાં 3,31,895 લોકોના જીવ જઈ ચૂક્યા છે. વળી, કોરોના વાયરસ સામે દેશમાં રસીકણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો કુલ 21,60,46,638 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
મહારાષ્ટ્ર, યુપી અને દિલ્લીમાં અનલૉકની પ્રક્રિયા શરૂ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ઘટતા કેસોને જોતા મહારાષ્ટ્ર, યુપી અને દિલ્લીમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દિલ્લીમાં 31 મેથી ફેક્ટરીઓ ખોલવા અને નિર્માણ કાર્ય શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત યુપીમાં જે જિલ્લાઓમાં કોરોના વાયરસના સક્રિય કેસ 600થી ઓછા છે ત્યાં અમુક છૂટ વધારી દેવામાં આવી છે. સોમવારે બીએમસીએ પણ મુંબઈમાં છૂટ વધારીને અનલૉક વિશે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.