કેન્દ્રને ત્રીજી લહેરનો ડર, રાજ્યોને કહ્યુ - મહોરમ, દુર્ગા પૂજા માટે પ્રતિબંધો પર કરો વિચાર
ત્રીજી લહેરના ડરના કારણે કેન્દ્ર તરફથી બધા રાજ્યોને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેર હજુ સંપૂર્ણપણે શાંત પણ નથી થઈ એ દરમિયાન ત્રીજી લહેરનુ જોખમ તોળાઈ રહ્યુ છે. છેલ્લા અમુક દિવસોથી 10 રાજ્યોમાં કેસ વધી રહ્યા છે. એવામાં કેન્દ્ર તરફથી બધા રાજ્યોને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મહોરમ, ઓણમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજા જેવા તહેવારો પર પ્રતિબંધ લગાવવા માટે કહેવામાં આવ્યુ. કેન્દ્રએ સ્પષ્ટ કર્યુ કે જો સમય સાથે જરૂરી પગલા લેવામાં ન આવ્યા તો પછી સ્થિતિ બગડી શકે છે.
આ મામલે ICMR અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રએ કહ્યુ કે ગઈ વખતે જોવામાં આવ્યુ હતુ કે ધાર્મિક આયોજનોના કારણે સ્થિતિ બગડી હતી. એવામાં આ વખતે પણ ધાર્મિક ભીડ સુપરસ્પ્રેડરનુ કામ કરી શકે છે. આના કારણે સમય રહેતા રણનીતિ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી. જેમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટની રણનીતિને પાંચ ગણુ ઝડપી કરવા માટે કહેવામાં આવ્યુ. આનાથી કોરોના સામે લડાઈની ગતિ યથાવત રહેશે.
વળી કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓરિસ્સા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને મણિપરને કેન્દ્રએ કોવિડ-19ની બગડતી સ્થિતિ માટે ચેતાવણી આપી છે. કેન્દ્રએ કહ્યુ છે કે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, તમિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, કેરળ અને પુડુચેરી આઠ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં સંક્રમણ અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ દરથી ફેલાઈ રહ્યુ છે. ત્યારબાદ કર્ણાટક, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આરટી-પીસીઆર રિપોર્ટ/વેક્સીનેશન રિપોર્ટને અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે.