બુલંદશહેર હિંસા પર બોલ્યા નસીરુદ્દીનઃ આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી
હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહે બુલંદશહેર હિંસા પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે.
હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહે બુલંદશહેર હિંસા પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આજે દેશની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. હાલમાં સમગ્ર સમાજમાં ઝેર ફેલાઈ ચૂક્યુ છે. આજે ગાયનો જીવ માનવથી વધુ કિંમતી છે. તેમણે કહ્યુ કે આજે કાયદો હાથમાં લેવાની ખુલ્લી છૂટ છે. કોઈ ક્યાંય પણ ક્યારેય પણ, કોઈને પણ મારી દે છે અને કોઈ કશુ નથી કરતુ. તેમણે કહ્યુ કે મને ડર નથી લાગતો પરંતુ દેશની સ્થિતિ પર મને ગુસ્સો આવે છે પોતાના બાળકો માટે ચિંતા થાય છે.
ગાયના મોતનુ મહત્વ પોલિસ અધિકારીના જીવથી વધુ
એક વેબસાઈટ સાથે વાતચીત કરતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે અમે બુલંદશહેર હિંસામાં જોયુ કે આજે દેશમાં એક ગાયના મોતનું મહત્વ પોલિસ અધિકારીના જીવથી વધુ હોય છે. મને એ વાતનો ડર લાગે છે કે જો ક્યાંક મારા બાળકોને ભીડે ઘેરી લીધુ અને તેમની કોઈ પૂછે કે તુ હિંદુ છે કે મુસ્લિમ? મારા બાળકો પાસે આનો કોઈ જવાબ નહિ હોય અને ત્યારબાદ ભીડ કંઈ પણ કરી શકે છે અને આપણામાંથી કોઈ કંઈ કરી નહિ શકે.
પોતાના બાળકો માટે ગભરાયેલો છુઃ શાહ
તેમણે કહ્યુ કે મજહબી તાલીમ મને મળી હતી અને રત્ન (તેમની પત્ની)ને થોડીઘણી મળી છે. અમે અમારા બાળકોને મજહબી તાલીમ નથી આપી કારણકે મારુ એ માનવુ છે કે સારા અને ખરાબને મજહબ સાથે કોઈ લેવા-દેવા નથી.
તમારી અંદર માનવતા હોવી જોઈએઃ શાહ
તમારી અંદર માનવતા હોવી જોઈએ, માનવતા જ તમારો ધર્મ હોવો જોઈએ પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. એક ગાયના ચક્કરમાં એક ઈન્સ્પેક્ટરને મારી નાખવામાં આવે છે અને કોઈ કશુ કરી શકતુ નથી, આ શરમજનક છે.
ઈન્સ્પેક્ટર સુબોધ સિંહ સહિત બે લોકોની હત્યા
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં 3 ડિસેમ્બરના રોજ થયેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ સિંહ સહિત બે લોકોના મોત થઈ ગયા હતા. પોલિસ આ મામલે અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ મોકલી ચૂકી છે. બુલંદ શહેર હિંસા બાદ પોલિસ ગોકશીની તપાસ કરી રહી હતી. વરિષ્ઠ અધિકારીઓએ પહેલેથી કહ્યુ હતુ કે બુલંદ શહેરની ઘટના એક સુનિયોજિત ષડયંત્ર હતુ. રમખાણો ભડકાવવા માટે ગૌમાંસ લાવીને ત્યાં ફેંકવામાં આવ્યુ હતુ. પોલિસ એ વાતની તપાસ કરી રહી હતી કે ગામમાં ગૌમાંસ ક્યાંથી આવ્યુ અને તેને કોણ લાવ્યુ હતુ?
આ પણ વાંચોઃ મહિલાઓ અંગે પીએમ નરેન્દ્ર મોદી અને અક્ષય કુમાર પર ભડકી દીયા મિર્ઝા