ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોજ સામે ગુનાહિત કેસ દાખલ કરાયો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સામે ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સામે ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભારતીય સેના સામે વાંધાજનક ટીપ્પણીઓ કરનાર રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સામે ગુનાહિત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ દિલ્લીના પટિયાલા હાઉસ કોર્ટમાં ફાઈલ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આ ફરિયાદમાં સૈફુદ્દીન સોજનું નામ પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સૈફુદ્દીન સોજે કહ્યુ હતુ કે કાશ્મીરમાં શાંતિ લાવવા માટે કેન્દ્ર સરકાર હુર્રિયત કટ્ટરપંથીઓ સાથે વાત કરે.
સેના સામે વાંધાજનક નિવેદન આપ્યુ હતુ
વરિષ્ઠ વકીલ શશિ ભૂષણે આ બંને નેતાઓ પર ભારતીય સેના સામે વાંધાજનક ટિપ્પણી કરવાનો કેસ નોંધાવ્યો છે. આ કેસ દિલ્લીની પટિયાલા કોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સૈફુદ્દીન સોજે કહ્યુ હતુ કે મુશર્રફ સાચા હતા. જો પસંદગીનો મોકો મળે તો કાશ્મીરીઓ આઝાદી પસંદ કરશે. વળી, થોડા દિવસ પહેલા ગુલામ નબી આઝાદે સેના સામે વાંધાજનક નિવેદન આપ્યુ હતુ કે સેનાના ઓપરેશનમાં આતંકીઓ કરતા વધુ તો સામાન્ય જનતા મૃત્યુ પામે છે.
તેમના નિવેદનોથી કોંગ્રેસ બેકફૂટ પર આવી
આ નિવેદનના કારણે ભાજપે કોંગ્રેસને બંને નેતાઓ સામે એક્શન લેવાની માંગ કરી હતી. જો કે આ નિવેદનોને કારણે કોંગ્રેસ પણ બેકફૂટ પર આવી ગઈ હતી અને કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ સોજના નિવેદન પર નાખુશી દર્શાવતા તેને પુસ્તક વેચવાનો કીમિયો ગણાવ્યો હતો.
કોંગ્રેસે સોજ અને આઝાદના નિવેદનોથી અંતર જાળવ્યુ
સોજના પુસ્તકના વિમોચનમા મનમોહન સિંહ અને ચિદમ્બરમ ઉપરાંત ગુલામ નબી આઝાદ, અરુણ શૌરી, વરિષ્ઠ પત્રકાર કુલદીપ નય્યર અને વજાહત હબીબુલ્લાહને નિમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ મનમોહન સિંહ અને ચિદમ્બરમ કાર્યક્રમમાં ગયા નહોતા.