હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ અપનાવે બંન્ને દેશો:દલાઇ લામા
દિલ્હી કાર્યક્રમમાં પહોંચેલ દલાઇ લામાએ કહ્યું, આ પરિસ્થિતિમાં ભારત અને ચીનનો વિવાદ ઉકેલવાનો એક માત્ર રસ્તો છે હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ અપનાવવી
બુધવારે દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામાએ કહ્યું હતું કે, હિંદી-ચીની ભાઇ-ભાઇની ભાવનાથી જ ભારત અને ચીન વચ્ચેનો વિવાદ સમાપ્ત થશે. બંન્ને દેશો એકબીજાના પાડોશી છે અને તેમણે આ જ દિશામાં આગળ વધવું જોઇએ. ડોકલામ વિવાદ કોઇ ગંભીર મુદ્દો નથી, આ મુદ્દાને ખોટી રીતે રજૂ કરતાં વાત બગડી શકે છે. વર્તમાન સ્થિતિમાં બંન્ને પાડોશીઓ કડક શબ્દોમાં એકબીજાની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ ખરેખર તો હિંદી-ચીની ભાઇ-ભાઇ જ આગળ વધવાનો માર્ગ છે.
દલાઇ લામાએ આગળ કહ્યું કે, વર્ષ 1962માં ચીની સૈન્ય બોમડિલા જઇ પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી પરત ફરી ગયું હતું. હાલની પરિસ્થિતિમાં પણ ભારત અને ચીને એ જ દિશામાં આગળ વધવાનું છે, ત્યારે જ આ વિવાદ શમશે.
ડોકલામ વિવાદ
ઉલ્લેખનીય છે કે, ડોકલામના મુદ્દે ભારત અને ચીનના સૈન્યા છેલ્લા બે મહિનાથી આમને-સામને છે. સિક્કિમ સેક્ટરમાં ભૂટાન ટ્રાઇજંક્શન પાસે ચીન એક મોટો રોડ બનાવવા માંગે છે અને ભારત આનો વિરોધ કરી રહ્યું છે. ચીને ભારતને આ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું બોલાવી લેવા કહ્યું હતું, ભારતે આ વાત નકારતાં બંન્ને દેશો વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે.
મળ્યા હતા ચીનના હથિયારો
આ મુદ્દે વધુ એક ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે, સોમવારે કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેના દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે સેના દ્વારા બુધવારે જાણકારી આપવામાં હતી. જે અનુસાર, ગીચ ઝાડવાઓનો ફાયદો ઉઠાવીને 5 આતંકવાદીઓએ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી સેના દ્વારા સોમવારે તપાસ આભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 આતંકીઓ ઠાર મરાયા હતા. આ આતંકીઓ પાસેથી ચીનમાં બનેલ હથિયારો મળી આવ્યા હતા. સાથે જ તેમની પાસેથી પાકિસ્તાનની દવાઓ અને અનાજ પણ મળી આવ્યું હતું.
ચીન માટે દલાઇ લામા દુશ્મન
આવી પરિસ્થિતિમાં દલાઇ લામાએ સૂચવેલ હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ પર આગળ વધવું થોડું મુશ્કેલ છે. નોંધનીય છે કે, વર્ષ 1959ના વિદ્રોહ દરમિયાન દલાઇ લામા તિબેટથી ભાગી નીકળ્યા હતા અને ત્યારથી તેઓ ભારતમાં જ રહી રહ્યાં છે. ચીનની સરકાર દલાઇ લામાને પોતાના દુશ્મન માને છે અને તે ભારતની દલાઇ લામાને આશરો આપવાની નીતિ સામે પણ નારાજ છે.