મમતાના આરોપોથી સેનાનું મનોબળ ઘટવાનો ખતરો: મનોહર પારિકર
સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે દીદીને પત્ર લખીને સેનાને વિવાદમાં ઘસડવા પર વ્યક્ત કર્યુ પોતાનું દુખ. પરિકરે કહ્યુ કે મમતાના નિવેદન સેનાના મનોબળ ઘટાડનારા છે...
છેલ્લા થોડા દિવસોથી ભારતીય સેનાને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે વિવાદમાં ઘસડ્યુ તેના પર સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે તેમને પત્ર લખ્યો છે. પારિકરે પત્રમાં મમતા બેનર્જીને લખ્યુ છે કે તેમનુ પગલુ સેનાનું મનોબળ ઘટાડનારુ છે.
પારિકરે વ્યક્ત કર્યુ પોતાનું દુખ
પારિકરે પત્રમાં સેનાને વિવાદમાં ઘસડવા પર પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે. એક અઠવાડિયા પહેલા સીએમ મમતા બેનર્જીએ ટોલ નાકાઓ પર સેનાની હાજરી પર સવાલો ઉભા કર્યા હતા. મમતાએ સેના પર તખ્તાપલટની કોશિશો જેવા સંગીન આરોપો પણ લગાવ્યા હતા. ત્યારબાદ સેનાને પોતે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી કે જે સૈનિકો ટોલ નાકા પર હાજર હતા તે માત્ર એક નિયમિત અભ્યાસના ભાગ રુપે હતુ.
સેના પર પૈસા વસૂલવાનો આરોપ
મમતા સરકાર તરફથી સેના પર લોકો પાસેથી પૈસા વસૂલવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આના કારણે સંસદમાં હોબાળો પણ શરુ થયો છે અને સંરક્ષણ પ્રધાને સંસદમાં કહ્યુ કે સેનાને આ રીતે વિવાદમાં ઘસડવાનું ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે. પારિકરે પોતાના પત્રમાં લખ્યુ છે કે, 'તમારા દ્વારા સેનાને આ રીતે વિવાદમાં ઘસડવા પર મને ઘણુ દુખ થયુ છે. જો તમે રાજ્યની એજંસીઓને પૂછ્યુ હોત તો પણ તમને આ અભ્યાસ વિશે જાણકારી મળી જાત.'
ભારતીય સેના સૌથી વધુ અનુશાસિત
પારિકરે પોતાના પત્રમાં આગળ લખ્યુ છે, 'ભારતીય સેના દેશના સૌથી અનુશાસિત સંસ્થાનોમાંની એક છે. તે આપણા દેશની રક્ષા અને સુરક્ષા માટે સમર્પિત છે. દેશને આપણી સેના પર ગર્વ છે. તમારા આરોપો બાદ સેનાનું મનોબળ ઘટવાનો ખતરો વધી ગયો છે. આર્મી ઓથોરિટીઝને તે પત્રોને પુરાવા રુપે આપવા માટે મજબૂર થવુ પડ્યુ જે તેમણે રાજ્યની પોલિસને લખ્યા હતા.
સેનાને પ્રેસ કોંફરંસ બોલાવવી પડી હતી
મમતાના આરોપો બાદ સેનાના ઇસ્ટર્ન કમાંડના ઓફિસર મેજર જનરલ સુનીલ યાદવને પ્રેસ કોંફરંસ કરવી પડી હતી. તેમણે જાણકારી આપી હતી કે ઇસ્ટર્ન કમાંડ દ્વારા દર વર્ષે થતી ડેટા કલેક્શન એક્સરસાઇઝ ચાલી રહી હતી. આ અભ્યાસમાં સ્થાનિક પોલિસ સાથે મળીને દરેક રાજ્યના એંટ્રી પોઇંટ પર લોડ કેરિયર્સની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવવામાં આવી રહી હતી.