સંરક્ષણ મંત્રાલયે કર્યો 25000 કરોડના આર્મી હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : લશ્કરવાળા માટેના આદર્શ સોસાયટી કૌભાંડ બાદ ફરી એક વાર ભારતીય આર્મીમાં મોટા કૌભાંડનો ઘસસ્ફોટ થયો છે. મહત્વની બાબત એ છે કે આ કૌભાંડ બીજા કોઇએ નહીં પણ ખુદ સંરક્ષણ મંત્રાલયે જ ખુલ્લું પાડ્યું છે. મંત્રાલય દ્વારા આર્મી હાઉસિંગ ક્ષેત્રે રૂપિયા 25000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અંગ્રેજી સમાચાર પત્ર ડીએનએના અહેવાલ અનુસાર મેરીડ ઓફિસરો અને અન્ય રેન્કના ઓફિસરો માટે હાઉસિંગ પ્રોજેકટોમાં જંગી કૌભાંડ થયાની ગંધ આવતા સંરક્ષણ મંત્રાલયે પ્રાઇવેટ બિલ્ડરોને અપાયેલા 14 જેટલા કોન્ટ્રેકટ રદ કરી નાખ્યા છે. આ કોન્ટ્રાકટ કેન્સલ કરતા મંત્રાલયે કારણમાં વિલંબ અને અકાર્યક્ષદતાને આગળ ધર્યા છે. સંરક્ષણ મંત્રાલયે આરોપ મુકયો છે કે એવી રીતે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા કે ખાનગી પેઢીઓને બખ્ખા થાય અને સરકારની તિજોરીને નુકસાન થાય.
સંરક્ષણ રાજય મંત્રી જીતેન્દ્ર સિંહે તાજેતરમાં ડિફેન્સ સેક્રેટરી આર કે માથુરને લખેલા એક પત્રમાં આ અંગેનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે પ્રાઇવેટ પાર્ટીઓનું નોન પર્ફોમન્સ ચલાવી લેવાયું તે કમનસીબ કહેવાય. તેઓને ફાયદો થવા દેવાયો, જયારે લશ્કરી જવાનોને રહેવાની સમસ્યા મોઢું ફાડીને ઉભી છે. તેમણે એવું જણાવ્યું કે પ્રાઇવેટ પાર્ટીઓમાં કેટલીક તો ડિફોલ્ટ થયેલી હતી. જેઓને સ્વીકારી શકાય નહી.
આ હાઉસિંગ પ્રોજેકટો છેલ્લા 11 વર્ષથી પાઇપલાઇનમાં હતા. કારગીલ યુધ્ધ પછી તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ તેમના સ્વતંત્રતા દિવસના 2001ના પ્રવચનમાં જાહેરાત કરી હતી કે લશ્કરી દળોના જવાનો માટે 100 ટકા હાઉસિંગની સુવિધા ઉભી થશે તે પછી ત્રણેય પાંખ દ્વારા એક સંયુકત અભ્યાસ થયો અને 2002માં પ્રોજેકટ શરૂ થયો. આ પ્રોજેકટ ડિરેકટોરેટ ઓફ મેરીડ એકમોડેશન પ્રોજેકટ સાથે રહીને શરૂ કરવામાં આવ્યો હતો. જો કે અત્યાર સુધીમાં આ પ્રોજેકટ હેઠળ માત્ર 63 ટકા જ કામ થયું છે અનેક વખતની ડેડલાઇન પણ પુરી થઇ જવા પામી છે.
એક અંદાજ મુજબ લશ્કરી દળોમાં ઓફિસરો માટે 40થી 45 ટકા અને નોન કમિશન્ડ ઓફિસરો અને અન્ય જવાનો માટે 55 ટકા રહેણાંકની સમસ્યા છે. જવાનો માટે 2 લાખ મકાનો પીપીપી હેઠળ બનાવવાના હતા. વાજપેઇ સરકારે આ માટે રૂપિયા 25000 કરોડ પણ ફાળવ્યા હતા. મેરીડ એકમોડેશન પ્રોજેકટની ટીકા કરતા સંરક્ષણ રાજય મંત્રી જીતેન્દ્ર સિંહે આંતરિક નોંધમાં લખ્યુ છે કે આ પ્રોજેકટના ડીજી પોતાની જવાબદારી ચુકયા છે. તેઓ યોગ્ય મોનીટરીંગ કરી શકયા નથી અને તેઓ મહત્વના પ્રોજેકટને સંભાળી શકયા નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સમગ્ર કોન્ટ્રાકટ રદ થતા આ પ્રોજેકટો વધુ વિલંબમાં પડશે પરંતુ સાથે-સાથે પ્રાઇવેટ બિલ્ડરોને પણ એક મહત્વનો સંદેશ જશે કે સરકારી તિજોરીને નુકસાન થાય તેવુ કરવાથી કોન્ટ્રાકટ રદ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મકાનો બનાવવા માટે કુલ 62 કોન્ટ્રાકટ અપાયા હતા તેમાંથી 14 કેન્સલ થયા છે. 20 કોન્ટ્રાકટરોએ 25 ટકા પણ કામ નથી કર્યું. સમગ્ર પ્રોજેકટ 2002માં શરૂ થયો હતો અને હજુ પણ પુરો થયો નથી. હવે પુરો કરવાની ડેડલાઇન 2018 આપવામાંઆવી છે. ઓફિસર રેન્કમાં 45 ટકા અને જવાનોની રેન્કમાં 55 ટકા રહેણાંકની અછત છે.