રક્ષા મંત્રાલયે નવા થલસેના અધ્યક્ષ તરીકે જન. સુહાગની ભલામણ કરી
નવી દિલ્હી, 12 મે : દેશના રક્ષા મંત્રાલયે આજે નવા થલસેના અધ્યક્ષની નિયુક્તિની દિશામાં આગળ વધવાનો નિર્ણય લઇને થલસેનાના ઉપ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ દલબીર સુહાગના નામની ભલામણ થલ સેનાના સર્વોચ્ચ પદ માટે કરી છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી લીલી ઝંડી મળ્યાના તરત બાદ કેબિનેટની નિયુક્તિ સમિતી (એસીસી)ને આ અંગેની ભલામણ મોકલી હતી. રક્ષા મંત્રાલયે આદર્શ આચારસંહિતાને જોતા આ મુદ્દે ચુંટણી પંચની સલાહ માંગી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર થલસેના અધ્યક્ષ પદ માટે 59 વર્ષના લેફ્ટનન્ટ જનરલ દલબીર સિંહ સુહાગના નામની જ ભલામણ કરવામાં આવી છે. કારણ કે તેઓ તમામ લેફ્ટનન્ટ જનરલમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે.
હવે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતાવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિએ આ ભલામણ અંગે નિર્ણય લેવાનો છે. વર્તમાન થલસેના અધ્યક્ષ જનરલ બિક્રમ સિંહ 31 જુલાઇના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. પરંપરા અનુસાર સરકાર વર્તમાન થલસેના પ્રમુખનો કાર્યકાળ ખતમ થયાના બે મહિના પહેલા નવા પ્રમુખના નામની જાહેરાત કરે છે.