'પરાઠા પર GST'ના નિર્ણય પર ભડક્યા CM કેજરીવાલ, કહ્યુ - આવો ટેક્સ તો અંગ્રેજોએ પણ નહોતો લગાવ્યો
દિલ્લીના અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પરાઠા પર 18 ટકા જીએસટી લગાવવાના નિર્ણય માટે ભાજપ સરકારને ઘેરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખોનુ એલાન થઈ શકે છે. આવનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી સતત ભાજપ અને તેમની સરકારની નીતિઓની ટીકા કરી રહ્યુ છે. હવે આ ક્રમમાં દિલ્લીના અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પરાઠા પર 18 ટકા જીએસટી લગાવવાના નિર્ણય માટે ભાજપ સરકારને ઘેરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાત અપીલેટ ઑથોરિટી ઑફ એડવાંસ રુલિંગના એ નિર્ણય પર ટ્વિટ કરીને લખ્યુ કે જમવાના સામાન પર તો બ્રિટિશ સરકારે પણ ક્યારેય ટેક્સ નહોતો લગાવ્યો.
'દેશમાં મોંઘવારીનુ સૌથી મોટુ કારણ ઉંચો GST''
તમને જણાવી દઈએ કે ગુજરાત એપીલેટ ઑથોરિટી ઑફ એડવાંસ રુલિંગે તેના એક નિર્ણયમાં જણાવ્યુ હતુ કે પરાઠા સામાન્ય રોટલી કરતા અલગ હોય છે. તેથી પરાઠા પર 18 ટકા GST વસૂલવો જોઈએ. આ જ સમાચારનો સ્ક્રીન શૉટ શેર કરીને અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ, 'અંગ્રેજોએ પણ ખાદ્ય પદાર્થો પર ટેક્સ લગાવ્યો ન હતો. આજે દેશમાં મોંઘવારીનુ સૌથી મોટુ કારણ કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતો ઊંચો GST છે. તેમાં ઘટાડો થવો જોઈએ અને લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળવી જોઈએ.'
પરાઠા પર 18 ટકા GST લગાવવા વિરુદ્ધ અપીલ
ઉલ્લેખનીય કે આ નિર્ણય સપ્ટેમ્બરમાં ત્યારે આવ્યો જ્યારે એક ફૂડ કંપનીએ પેકેજ્ડ પરાઠા પર 18 ટકા GST લગાવવા વિરુદ્ધ અપીલ કરી હતી. આ સિવાય ગુજરાત સરકારના ઘણા પ્રાધિકરણોએ પણ આવો જ આદેશ પસાર કર્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારને આ સિવાય પણ ભૂતકાળમાં અનેક મુદ્દે ઘેરી ચૂક્યા છે.
'પરાઠાને રોટીની શ્રેણીમાં ગણી શકાય નહિ'
અપીલ કરનાર ફૂડ કંપનીએ તેની અરજીમાં જણાવ્યુ હતુ કે તેઓ આઠ પ્રકારના પરાઠા બનાવે છે અને તેમાં મુખ્યત્વે લોટ અને મૂળા, બટેટા જેવા કેટલાક શાકભાજીનો ઉપયોગ કરે છે. કંપનીએ તેના સ્ટેન્ડમાં જણાવ્યુ હતુ કે પિઝા બ્રેડ, રસ્ક અને ટોસ્ટેડ બ્રેડ પર 5 ટકા જીએસટી છે જ્યારે પરાઠા પર 18 ટકા જીએસટી છે. ચૂકાદો જાહેર કરતી વખતે ગુજરાત એપીલેટ ઑથોરિટી ઑફ એડવાંસ રુલિંગે જણાવ્યુ હતુ કે રોટલી બનાવવામાં અલગ-અલગ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે અને પરાઠામાં અલગ-અલગ તેથી પરાઠાને રોટીની શ્રેણીમાં ગણી શકાય નહિ.