કેજરીવાલ પર આરોપ છે, તે કરે છે જનતાના પૈસે લીલાલહેર
6 ડિસેમ્બર, 2016ના રોજ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પ્રશાસન વિભાગને લખેલ નોંધમાં બિલની ચૂકવણી સરકારી ખજાનામાંથી કરવા જણાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ ની સરકાર પૈસાની લેણ-દેણના મામલામાં ચારેય બાજુથી ઘેરાઇ ગઇ છે. દિલ્હી ના આ મુખ્યમંત્રી ફરી એકવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. તેમની વિરુદ્ધ ચાલી રહેલ માનહાનિના કેસમાં તેઓ નાણાં મંત્રી અરુણ જેટલી સમક્ષ લડી રહ્યાં છે. આ કેસમાં વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી તેમનો બચાવ કરી રહ્યાં છે. આ માટે જેઠમલાણીની ફી સરકારી ખજાનામાંથી ચૂકવાઇ રહી હોવાના કારણે વિવાદ સર્જાયો છે. રામ જેઠમલાણીએ 3.42 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું હતું.
કેસ હજુ પણ ચાલે છે
ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉની ખબર અનુસાર, જેઠમલાણી તરફથી મોકલાવવામાં આવેલા આ બિલમાં 1 કરોડ રૂપિયા રિટેનરશિપ તરીકેા તથા 22 લાખ રૂપિયા દરેક વખતે કોર્ટમાં હાજર રહેવા માટે ચાર્જ કરવામાં આવ્યા છે. જેઠમલાણી 11 વાર કેજરીવાલના કેસના મામલે કોર્ટમાં હાજર રહ્યાં છે, આમ કુલ બિલની રકમ 3.42 કરોડ રૂપિયા થઇ છે. 1 ડિસેમ્બર, 2016ના રોજ આ ભિલ મોકલવમાં આવ્યું હતું. આ કેસ હજુ પણ ચાલે છે.
સિસોદિયાએ કર્યો હતો આદેશ
ડોક્યૂમેન્ટ્સ અનુસાર 6 ડિસેમ્બર, 2016ના રોજ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રશાસન વિભાગને લખેલ નોંધમાં બિલની ચૂકવણી સરકારી ખજાનામાંથી કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, 7 ડિસેમ્બરના રોજ દિલ્હી સરકારના કાયદાકીય વિભાગ દ્વારા આ નોંધ નકારતા કહેવામાં આવ્યું હતું કે, આ માટે ઉપરાજ્યપાલની સ્વીકૃતિ અનિવાર્ય છે.
ઉપરાજ્યપાલની સ્વીકૃતિની જરૂર નથી
મનીષ સિસોદિયા દ્વારા કાયદાકીય વિભાગને ફરી એક વાર નોંધ મોકલવામાં આવી, જેમાં લખ્યું હતું કે, આ માટે ઉપરાજ્યપાલની અનુમતિની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ જે પણ કેસ દાખલ થયા છે, તે તમામ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન થયા છે અને આથી કેસનો ખર્ચ પણ સરકારી ખજાનામાંથી ચૂકવાવો જોઇએ.
કેજરીવાલ અને જેટલીની વ્યક્તિગત લડાઇ
કાયદાના વિશેષજ્ઞો અનુસાર, અરવિંદ કેજરીવાલ અને અરુણ જેટલી વચ્ચેની લડાઇ વ્યક્તિગત મામલે થઇ છે. જો કેજરીવાલ આ કેસ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે લડવા માંગતા હતા, તો તેમણે સિવિલ પ્રોસિજર કોડની કલમ 80 હેઠળ નિયમોનું પાલન કરવાની જરૂર હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે આમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
|
ભાજપનો વિરોધ
અરવિંદ કેજરીવાલના કેસની ફી સરકારી ખજાનામાંથી ચૂકવવાનો ભાજપ વિરોધ કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, કેજરીવાલની કેસની ફી સરકારી ખજાનામાંથી ચૂકવવાની વાત થઇ રહી છે, તે સામાન્ય જનતાના પૈસા છે. ભાજપના નેતા ગિરિરાજ સિંહે આ અંગે ટ્વીટ કરતાં લખ્યું છે કે, કમાલના માણસ છે આ તો. દિલ્હીમાં, દિલ્હીની જનતાના પૈસે મુગલોએ પણ કદાચ આટલી મોજ નહીં કરી હોય. સૌ મળીને કેજરીવાલને પ્રણામ કરીએ.
ફરી કેજરીવાલની વ્હારે આવ્યા જેઠમલાણી
આ મામલે વિવાદ વધતાં રામ જેઠમલાણી ફરી એકવાર અરવિંદ કેજરીવાલની વ્હારે આવ્યાં છે. મંગળવારે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, જો આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ મારી ફી ન ચૂકવી શકે, તો હું કેજરીવાલનો કેસ મફતમાં લડવા તૈયાર છું. અરુણ જેટલી મારા સવાલોથી ડરી ગયાં છે અને એટલે જ આ આખો વિવાદ ઊભો કરી રહ્યાં છે. સૌને ખબર છે કે હું માત્ર ધનવાન ક્લાયન્ટ્સ પાસેથી જ પૈસા લઉં છું, ગરીબોના કેસ મફતમાં લડું છું. હું અરવિંદ કેજરીવાલને પણ મારા ગરીબ ક્લાયન્ટમાંના એક ગણીને તેમનો કેસ મફત લડીશ.
લાલુ પ્રસાદ યાદવે પણ ઝંપલાવ્યું
આ વિવાદમાં હવે રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પણ ઝંપલાવ્યું છે. તેમણે ખૂબ રમૂજી અંદાજમાં જેઠમલાણીને 'કાકા' તરીકે સંબોધતાં કહ્યું કે, 'બરાબર છે કાકા, પૈસાની ક્યાં ખોટ છે. અમારા જેટલા પણ કેસ છે, અમે લોકો પાસેથી ક્યારેય પૈસા નથી લીધા.' ઉલ્લેખનીય છે કે, રામ જેઠમલાણી હાલ બિહારથી રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સાંસદ છે.
અહીં વાંચો