જીજ્ઞેશ મેવાણીની હુંકાર રેલીને ના મળી મંજૂરી, છતાં કરશે રેલી
26 જાન્યુઆરી આવતી હોવાનું કહી દિલ્હી પોલીસે દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની હુંકાર રેલીને નથી આપી મંજૂરી. ત્યારે આ પર જીજ્ઞેશે શું કહ્યું જાણો અહીં વિગતવાર
ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા તેવા જીજ્ઞેશ મેવાણીને 9 જાન્યુઆરીના રોજ દિલ્હીની સંસદ પાસે હુંકાર રેલી કરવાની મંજૂરી નથી મળી. દિલ્હી પોલીસે મેવાણીની આ રેલીની મંજૂરી રદ્દ કરી છે. તેમણે કારણ જણાવ્યું કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ આવી રહ્યો હોવાના કારણે સુરક્ષા કર્મીઓ તેની તૈયારી અને સુરક્ષાવિધિમાં વ્યસ્ત છે. સાથે જ પોલીસે ચીમકી આપી છે કે તેમ છતાં જો જીજ્ઞેશ મેવાણી રેલી કરે છે તો તેની પર કાયદાકીય પગલાં લેવામાં આવશે. જીજ્ઞેશ મેવાણીએ પાર્લિયામેન્ટ સ્ટ્રીટમાં 9 જાન્યુઆરીએ સામાજીક ન્યાન માટે યુવા હુંકાર રેલીની જાહેરાત કરી છે. જો કે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના પૂર્વ અધ્યક્ષ મોહિત પાંડેએ પરમિશન રદ્દ થવાની ખબરને ખોટી ગણાવી છે. સાથે જ જીજ્ઞેશ મેવાણીએ પર મંજૂરી રદ્દ થવાની વાતને કોરી અફવા ગણાવીને ટ્વિટ કર્યું છે. સાથે જ સુત્રોથી મળતી જાણકારી મુજબ મંજૂરી ના મળી હોવા છતાં જીજ્ઞેશ મેવાણી 9મી જાન્યુઆરીએ રેલી કરશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણીએ દલિતો પર થઇ રહેલા અત્યારચારના વિરોધમાં અને સહારનપુરમાં ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને મુક્ત કરવાની માંગ સાથે આ રેલી નીકાળવામાં આવી રહી છે. જીજ્ઞેશે હાલમાં જ ભીમ કોરેગાંવ હિંસાને લઇને ભાજપ સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે. ત્યાં જ પોલીસનું કહેવું છે કે ગણતંત્ર દિવસ હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં 144 કલમ લાગેલી છે. આવી સ્થિતિમાં કોઇ પણ કાર્યક્રમ કરવાની કોઇને પણ છૂટ આપવામાં નથી આવતી. નોંધનીય છે કે કોરેગાંવ હિંસા પછી જીજ્ઞેશ મેવાણી પર ભડકાઉ ભાષણને લઇને કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેને લઇને જીજ્ઞેશ મેવાણીએ તેમ પણ કહ્યું હતું કે પીએમ મોદીજી સંવિધાનમાં નહીં પણ મનુસ્મૃતિ પર વિશ્વાસ કરે છે. અને તેણે 9 જાન્યુઆરીએ દિલ્હીમાં રેલીમાં એક હાથમાં સંવિધાન અને એક હાથમાં મનુસ્મૃતિ લઇને વડાપ્રધાન કાર્યાલયમાં જઇને પીએમને તેમાંથી કોઇ પણ એક કોપી પસંદ કરવાની વાત પણ ઉચ્ચારી હતી. જેથી દેશમાં શું ચાલે તેની સ્પષ્ટતા આવે તેમ જીજ્ઞેશ મેવાણીનું કહેવું હતું. ઉલ્લેખનીય છે કે 2016માં ગુજરાતમાં થયેલા ઉના કાંડ પછી દલિત પ્રશ્નોની આગેવાની કરતા જીજ્ઞેશ મેવાણીનું નામ ચર્ચામાં આવ્યું હતું. વધુમાં હાલ તે વડગામથી નિર્દલીય ઉમેદવાર તરીકે વિધાનસભામાં ચૂંટાઇને પણ આવ્યા છે. તે પછી તે નવા દલિત નેતા તરીકે ઊભરી રહ્યા છે.