યમુનાનું જળસ્તર તોડી શકે છે 5 વર્ષનો રેકોર્ડ, 10,000 લોકોનું સ્થળાંતર
યમુના નદીનું જળસ્તર મંગળવારે 206 મીટર સુધી પહોંચી ગયુ છે. જેના કારણે પરિસ્થિતિ ખરાબ થવાનું જોખમ છે.
યમુના નદીનું જળસ્તર મંગળવારે 206 મીટર સુધી પહોંચી ગયુ છે. જેના કારણે પરિસ્થિતિ ખરાબ થવાનું જોખમ છે. સોમવારે યમુનાનું જળસ્તર 205.76 મીટર સુધી પહોંચી ગયુ હતુ. જ્યારે નદીનું જળસ્તર વધવાને કારણે આસપાસના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોની ફરિયાદો છે કે તેમને કોઈ રાહત નથી મળી રહી. લોકોને રસ્તા પર આશરો લેવો પડી રહ્યો છે. જો કે સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલના નિર્દેશ બાદ મંત્રી કૈલાશ ગેહલોતે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
પૂરના જોખમથી વધી સરકારની મુશ્કેલીઓ
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મંત્રી કૈલાશ ગેહલોતને પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટેની નિર્દેશો આપ્યા છે અને અધિકારીઓ સાથે જઈને પૂરતી વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. જ્યારે ગેહલોત તે વિસ્તારોમા પહોંચ્યા ત્યારે લોકોએ ફરિયાદ કરવી શરૂ કરી દીધી કે સરકાર તરફથી કોઈ રાહત નથી મળી રહી. ગાંધીનગર પાસે રહેતા કમલસિંહનું કહેવુ હતુ કે સરકાર તરફથી કોઈ મદદ મળી શકી નથી. પાણી વધવાને કારણે વિસ્તારમાં વીજળી પહેલેથી જ કાપી નાખવામાં આવી છે. નદીનું પાણી વધવાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એક વૃદ્ધ મહિલાએ કહ્યુ કે જે વિસ્તારમાં પાણી નથી ગયુ તેમને રાહત કેમ્પોમાં લઈ જવામાં આવે છે અને જ્યાં પાણી છે એ લોકોને કોઈ મદદ મળી નથી.
યમુનાના નીચલા વિસ્તારમાં લોકોને પડી રહી છે મુશ્કેલીઓ
લોકોની ફરિયાદ સાંભળ્યા બાદ કૈલાશ ગેહલોતે કહ્યુ કે અધિકારીઓનો દરેક પ્રકારની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. પ્રભાવિત લોકો માટે શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. રેવન્યુ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે ટેન્ટ પહેલેથી લગાવી દેવાયા છે. પરંતુ આ લોકોના ઘરોથી દૂર હોવાના કારણે થોડી મુશ્કેલી આવી રહી છે. અધિકારીએ જણાવ્યુ કે ગાંધીનગર બજાર વિસ્તારમાં 18 કેમ્પ બીજા વધારવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પ્રભાવિત લોકોને કેમ્પમાં આવવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે નીચાણવાળા વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ઝૂંપડીઓમાં રહે છે.
10,000 પરિવારોનું સ્થળાંતર
તમને જણાવી દઈએ કે જળસ્તર વધવાને કારણે યમુનાના નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઈ ગયુ છે અને ગેરકાયદેસર રીતે બનાવેલી ઝુગ્ગીઓમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારસુધીમાં 10 હજાર પરિવારોનુ ત્યાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં લગભગ 1,149 ટેન્ટ લગાવવામાં આવ્યા છે. વર્ષ 2013 બાદ પહેલી વાર યમુનાનું જળસ્તર 207 મીટરને પાર કરી શકે છે.