ભાજપે કમલનાથ સરકાર પડી ભાંગવા આપ્યો 100 કરોડનો પ્રસ્તાવઃ દિગ્વિજય સિંહ
કોંગ્રેસની સરકારની રચના બાદ સતત એ પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે કે ધારાસભ્યોની તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જે રીતે પરિણામો ખૂબ નજીક આવ્યા અને કોઈ પણ પક્ષને બહુમત મળ્યો નહિ તે બાદ કોંગ્રેસે રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવી છે. કોંગ્રેસની સરકારની રચના બાદ સતત એ પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે કે ધારાસભ્યોને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે ભાજપે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પડી ભાંગવા માટે કોંગ્રેસ ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ 'પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે': ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત
ઢાબા પર થઈ મુલાકાત
દિગ્વિજય સિંહે કહ્યુ કે ભાજપ ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મોરેનાના કોંગ્રેસ ધારાસભ્ય બૈજનાથ કુશવાહાનો સંપર્ક કર્યો અને તેમને એક ઢાબા પર લઈને ગયા. આ દરમિયાન પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગ પણ હાજર હતા. અહીં કોંગ્રેસ ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરવામાં આવી. એટલુ જ નહિ ભાજપની સરકારમાં તેમને મંત્રી પદ આપવાનું પણ વચન આપવામાં આવ્યુ. વળી, દિગ્વિજય સિંહના આરોપ પર પલટવાર કરતા ભાજપે પડકાર આપ્યો છે કે દિગ્વિજય સિંહ પોતાના દાવાને સાબિત કરે.
શિવરાજ હાર પચાવી નથી શકતા
દિગ્વિજય સિંહ આટલેથી ન અટક્યા તેમણે કહ્યુ કે રાજ્યમાં શિવરાજ સિંહની સરકાર ગયા બાદ ભાજપે ઘણા કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને તેમને અલગ અલગ પ્રસ્તાવ આપ્યા છે. ભાજપ નેતાઓએ કુશવાહાને કહ્યુ હતુ કે તે પોતાના સાથીઓ સાથે આવે, ચાર્ટર્ડ વિમાન તૈયાર છે. પરંતુ કુશવાહાએ આમ કરવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યુ કે શિવરાજ સિંહ ગભરાઈ ગયા છે કારણકે તે હાર પચાવી શક્યા નથી. વળી, ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય સિંહને પોતાના દાવાને સાબિત કરવાનો પડકાર આપતા કહ્યુ કે આ તેમનો એકમાત્ર પબ્લિસિટી સ્ટંટ છે. જો દિગ્વિજય સિંહ પાસે પુરાવા હોય તો તે કાયદાકીય કાર્યવાહી કરે.
દિગ્વિજય સિંહ માત્ર અફવાઓ ફેલાવે છે
વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે દિગ્વિજય સિંહના દાવાને ફગાવી દેતા કહ્યુ કે, 'તે માત્ર અફવા ફેલાવે છે. દરેક જાણે છે કે દિગ્વિજય સિંહ અહીંથી તહીં અફવા ફેલાવતા હોય છે. તમને ખબર છે કે અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક મતથી પડી ભાંગી હતી, અમે ખરીદ-વેચાણમાં ભરોસો નથી કરતા.' વળી, ભાજપ નેતા વિશ્વાસ નારંગે પણ દિગ્વિજય સિંહને તેમનો આરોપ સાબિત કરવા પડકાર્યા છે.