દિલ્હી યુનિવર્સિટીમાં ચાર વર્ષ બાદ NSUIની જીત
દિલ્હી યુનિવર્સિટીમાં બુધવારે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચાર વર્ષ બાદ એનએસયુઆઈની જીત થઈ છે. આ અંગે વધુ વાંચો અહીં..
દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી બુધવારે યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ને મોટો ઝાટકો આપીને કોંગ્રેસની સ્ટુડંટ વિંગ એનએસયૂઆઈ એ મોટી બહુમતી સાથે જીત મેળવી હતી. આ ચૂંટણીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સીટ એનએસયૂઆઈના ફાળે ગઈ છે, જ્યારે સચિવ અને ઉપ સચિવના પદો એબીવીપી એ જીત્યા છે. એનએસયુઆઈના અધ્યક્ષ પદ પર 1500 મતથી જીત મેળવનાર રૉકી તુસીદ શિવાજી કોલેજના વિદ્યાર્થી છે, જેનું નામ ચૂંટણી પરથી રદ્દ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેણે કોર્ટ દ્વારા મંજુરી મેળવી હતી અને તેના ઉપાધ્યક્ષ પદ ઉપર કુણાલ સેહરાવતે 200 મતોથી જીત મેળવી હતી. તો એબીવીપીની મહામેધા નાગરએ સચિવ પદ 2500 મતોથી જીત્યું હતું અને સયુંક્ત સચિવના પદ ઉપર ઉમાશંકરને જીત મળી હતી. ચાર વર્ષ બાદ ડીયુએસયુમાં એનએસયૂઆઈની ભારે મતોથી થયેલ જીત બાદ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી યુનિવર્સિટીમાં બુધવારે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં કોંગ્રેસની એનએસયૂઆઈએ ચાર વર્ષ બાદ આટલી મોટી જીત મેળવી હતી. આ વર્ષે 46 ટકા વિદ્યાર્થીઓએ પોતાના મત આપ્યા હતા. જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના બંને પદો આ વર્ષે એનએસયૂઆઈ એ પોતાના નામે કરી લીધા હતા. સચિવ અને ઉપ સચિવના પરિણામો આવ્યા બાદ એનએસયૂઆઈએ વિરોધ કર્યો હતો અને આ પદો માટે તે કોર્ટ પાસેથી સ્ટે લાવશે, તેવુ પણ જણાવ્યું હતું. દિલ્હી યુનિવર્સિટીના પરિણામ આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર એબીવીપીની ઘણી મજાક પણ ઉડાડવામાં આવી હતી.